આજે લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ લાગી જશે આચાર સંહિતા, કઇ-કઇ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ?

Lok Sabha election 2024 : ચૂંટણી પંચ દ્વારા શનિવારે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે

Lok Sabha election 2024 : ચૂંટણી પંચ દ્વારા શનિવારે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
election commission lok sabha election

નવા ઇસી સુખબીર સિંહ સંઘૂ (ડાબે), જ્ઞાનેશકુમાર અને સીઈસી રાજીવ કુમાર photo - ANI

Lok Sabha election 2024 : ચૂંટણી પંચ દ્વારા આજે શનિવારે 16 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી તારીખો જાહેર કરશે. આ સિવાય ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની પણ તારીખો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ચૂંટણીની આચારસંહિતા શું છે? તેનો અમલ કોણ કરે છે? આ સમય દરમિયાન કયા કામ બંધ રહે છે અને કયા કામો ચાલુ રહે છે.

Advertisment

આચારસંહિતા?

ચૂંટણી પંચે દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. પંચના આ નિયમોને આચાર સંહિતા કહેવામાં આવે છે. લોકસભા /વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર, નેતાઓ અને રાજકીય પક્ષોએ આ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

ચૂંટણી પંચ ભારતના બંધારણની કલમ 324 હેઠળ સંસદ અને વિધાનમંડળ માટે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે તેમની બંધારણીય ફરજો અંતર્ગત કેન્દ્ર અને રાજ્યોમાં સત્તારુઢ દળો અને ચૂંટણી લડતા ઉમેદવારોથી તેનું પાલન સુનિશ્ચિત કરે છે. ચૂંટણી હેતુ માટે સત્તાવાર મશીનરીનો દુરૂપયોગ ન થાય તેની પણ ખાતરી કરવામાં આવે છે. આચારસંહિતા લાગુ થતાં જ સરકારી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. આદર્શ આચારસંહિતા એ તમામ રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં મૂકાયેલી વ્યવસ્થા છે.

ક્યાં સુધી આચારસંહિતા અમલમાં રહે છે?

જ્યારે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરે છે. તેની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ જાય છે. આ વખતે આચાર સંહિતા આવતીકાલ એટલે કે 16 માર્ચ 2024થી લાગુ થશે. કારણ કે ચૂંટણી પંચ શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ આચારસંહિતાનો અંત આવી જાય છે.

Advertisment

સામાન્ય માણસને પણ લાગુ પડે છે

જો કોઇ સામાન્ય માણસ આ નિયમોનો ભંગ કરશે તો તેની સામે પણ આચાર સંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો તમે તમારા કોઈ નેતા માટે પ્રચાર કરી રહ્યા હોવ તો પણ તમારે આ નિયમોથી વાકેફ રહેવું પડશે. જો કોઈ રાજકારણી તમને આ નિયમોથી આગળ વધવાનું કહે છે તો તમે તેને આચારસંહિતા વિશે કહી શકો છો અને તેમ કરવાની ના પાડી શકો છો. કારણ કે આમ કરતા જણાય તો તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે છે. ઉલ્લંઘન માટે તમારી અટકાયત પણ કરી શકાય છે.

સરકાર ટ્રાન્સફર-પોસ્ટિંગ કરી શકતી નથી

આચારસંહિતા લાગુ થયા બાદ સરકાર કોઇ સરકારી અધિકારી, કર્મચારીની બદલી-પોસ્ટિંગ કરી શકતી નથી. ભલે બદલી કરવી ખૂબ જ જરૂરી બની ગઇ હોય પરંતુ સરકાર ચૂંટણી પંચની સંમતિ વગર આ નિર્ણય લઇ શકે નહીં. આ સમય દરમિયાન રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર જરૂરિયાત મુજબ અધિકારીઓની બદલી કરી શકે છે.

આ પણ વાંચો - ઇલેક્ટોરલ બોન્ડ ના યુનિક કોડ પર કેમ થઇ રહ્યો છે હંગામો? સુપ્રીમ કોર્ટે SBI પાસે કેમ માંગી તેની જાણકારી

રેલી કાઢવા માટે પોલીસ સ્ટેશનમાં માહિતી આપવી પડશે

પાર્ટીનું સરઘસ કે રેલી કાઢવા માટે ઉમેદવારે ચૂંટણી આચારસંહિતાના ભંગ ના થાય તે માટે તેની પરવાનગી લેવી પડે છે. ઉમેદવારે આ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં પણ આપવી પડે છે. જાહેર સભા અને સ્થળની માહિતી પોલીસ અધિકારીઓને આપવાની રહેશે.

આચારસંહિતાના ઉલ્લંઘન પર શું થાય છે?

ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ ઘણા નિયમો પણ લાગુ પડે છે. કોઈ પણ રાજકારણી કે રાજકીય પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન ન કરી શકે. ચૂંટણી દરમિયાન ગુનાખોરી, ગેરરીતિઓ અને ભ્રષ્ટ વ્યવહાર, લાંચ-રુશ્વત અને મતદારોને પ્રલોભન, મતદારોને ધાકધમકી અને ધાકધમકી જેવી પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. ઉલ્લંઘનના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષ નિયમોનું પાલન ન કરે તો ચૂંટણી પંચ તેની સામે પગલાં લઈ શકે છે. ઉમેદવારને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. તેમજ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરી શકાય છે. જો દોષિત ઠરે તો ઉમેદવારને જેલમાં પણ જવું પડી શકે છે.

ચૂંટણી ખર્ચમાં શું સામેલ છે?

ચૂંટણી ખર્ચમાં એ રકમનો સમાવેશ થાય છે જે ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમિયાન કાયદાકીય રીતે ખર્ચ કરે છે. તેમાં જાહેર સભાઓ, રેલીઓ, જાહેરાતો, પોસ્ટરો, બેનરો, વાહનો અને જાહેરાતો પાછળ ખર્ચનો સમાવેશ થાય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ-77 હેઠળ દરેક ઉમેદવારે ઉમેદવારી પત્રકની તારીખથી પરિણામ જાહેર થયાની તારીખ સુધી થયેલા તમામ ખર્ચનો અલગથી અને સાચો હિસાબ રાખવો પડે છે. ઉમેદવારોએ ચૂંટણી પૂર્ણ થયાના 30 દિવસની અંદર તેમના ખર્ચની વિગતો ચૂંટણી પંચને સુપરત કરવાની રહેશે. એક્ટની કલમ 10 હેઠળ ચૂંટણી પંચ જો ઉમેદવારો ખોટા નિવેદનો રજૂ કરે તો તેમને ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવી શકે છે.

આચારસંહિતા ક્યારથી શરૂ થઈ?

આદર્શ આચારસંહિતા સૌપ્રથમ 1960ની કેરળ વિધાનસભાની ચૂંટણીમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં એક ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે 1962ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર તમામ રાજકીય પક્ષોને આ અંગે જાગૃત કર્યા હતા. આદર્શ આચારસંહિતા 1967 ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓથી અમલમાં આવી હતી. ત્યારથી તેનું નિયમિત પાલન થતું આવ્યું છે. જોકે સમયાંતરે તેની ગાઈડલાઈનમાં ફેરફાર થતા રહ્યા છે.

શું આ કામો પર પ્રતિબંધ નથી?

આચારસંહિતા લાગુ થાય તે પહેલા સરકારી યોજનાનું કામ શરૂ થઈ ગયું છે તે આચારસંહિતા લાગુ હોવા છતાં તે ચાલુ રહે છે. જે યોજનાઓમાં આચાર સંહિતા લાગુ થાય તે પહેલા કોને લાભ મળશે, તે યોજનાઓ ચાલુ રહેશે. તે જ સમયે, મનરેગા જેવી યોજનાઓ પહેલેથી જ ચાલી રહી છે. જે નવી યોજનાઓને મંજૂરી મળી ગઈ છે અને તેના માટે રકમ પણ મંજૂર કરવામાં આવી છે તે ચાલુ જ રહેશે. તેમજ આચાર સંહિતા દરમિયાન પણ ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિ-રહેઠાણનું પ્રમાણપત્ર, જમીન રજિસ્ટ્રી જેવી કામગીરી ચાલુ જ રહે છે.

આચાર સંહિતા દરમિયાન કયા કામો પર પ્રતિબંધ છે?

આચાર સંહિતા હેઠળ રાજકીય પક્ષો અને ઉમેદવારો શું કરી શકે છે અને શું ન કરી શકે તેની માહિતી આપવામાં આવે છે. આ એવી ક્રિયાઓ છે જે સીધી કે આડકતરી રીતે ચૂંટણીને અસર કરી શકે છે.

-આચારસંહિતા લાગુ થાય ત્યારે સરકાર નવી યોજનાઓ અને નવી જાહેરાતો કરી શકે નહીં. ભૂમિ પૂજન અને લોકાર્પણ પણ કરી શકાતું નથી.

-ચૂંટણી પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકાતો નથી. સરકારી ગાડી, બંગલો, વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ છે.

-રાજકીય પક્ષોએ રેલી, સરઘસ કે સભા માટે મંજૂરી લેવી પડે છે.

-ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળો અને પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

-મતદારોને કોઈપણ રીતે લાંચ આપી શકાય નહીં.

-આચારસંહિતા લાગુ થતાં જ દીવાલો પર લખેલી તમામ પ્રકારની પાર્ટીને લગતા સૂત્રો અને પ્રચાર સામગ્રી દૂર થઈ જાય છે. હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો પણ દૂર કરવામાં આવે છે.

-મતદારોને મતદાન મથકો પર લાવવા માટે વાહનો પૂરા પાડી શકાતા નથી.

-મતદાનના દિવસે અને તેના 24 કલાક પહેલા કોઈને દારૂ વહેંચી શકાશે નહીં.

-ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીને તેમની ખાનગી મુલાકાત અથવા નિવાસસ્થાનમાં કોઈ પણ નેતા અથવા મંત્રીને મળવા પર પ્રતિબંધ છે.

-કોઈ પણ ઉમેદવાર કે પાર્ટી પર વ્યક્તિગત હુમલા કરી શકાય નહીં.

-કોઈ પણ ચૂંટણી રેલીમાં ધર્મ કે જાતિના નામે મત માગવામાં આવશે નહીં.

-આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ પેન્શન ફોર્મ જમા કરાવી શકાશે નહીં અને નવા રેશનકાર્ડ બનાવી શકાશે નહીં.

-ધારાસભ્યો, સાંસદો અથવા વિધાન પરિષદના સભ્યો લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાંથી નવું ભંડોળ બહાર પાડી શકતા નથી.

-સરકારી ખર્ચે કોઈ પણ નેતાના નિવાસ સ્થાને ઈફ્તાર પાર્ટીઓ કે અન્ય પાર્ટીઓનું આયોજન કરી શકશે નહીં.

-કોઈ નવા સરકારી કામ શરૂ થશે નહીં. કોઈપણ નવા કામ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે નહીં.

-આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ મોટી મોટી ઈમારતોને મંજૂરી આપવામાં આવતી નથી.

-મતદાનના દિવસે મતદાન મથકોના 100 મીટરની અંદર પ્રચાર પર પ્રતિબંધ છે અને મતદાનના એક દિવસ પહેલા કોઈપણ સભા પર પ્રતિબંધ છે.

-હથિયાર રાખવા માટે નવું શસ્ત્ર લાઇસન્સ બનળે નહીં. બીપીએલ યલો કાર્ડ નહીં બને.

ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024 દેશ