Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને 4 જૂને પરિણામ આવશે. આ પહેલા અમેરિકન ટેક કંપની ઓપનએઆઇ એ તાજેતરના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ભારતની લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઇઝરાયલની એક કંપની ભારતમાં ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા.
આ રિપોર્ટમાંએવો દાવો કરવામાં આવે છે કે ઇઝરાયેલની એક કંપનીએ ભાજપ વિરુદ્ધ અને કોંગ્રેસની તરફેણમાં એક માહલો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કેવી રીતે લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ભારતના સત્તાધારી પક્ષ ભાજપ વિરુદ્ધ ટિપ્પણીઓનું પૂર લાવવામાં આવ્યું હતું, જેના દ્વારા ભાજપ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ
ઓપનએઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં તે અભિયાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં એઆઈ નો ઉપયોગ ગુપ્ત અભિયાન માટે કરવામાં આવ્યો હતો. તે કેમ્પેઇનનો ઉપયોગ લોકોના અભિપ્રાયમાં ફેરફાર કરવા અથવા રાજકીય પરિણામોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવતો હતો. ઓપન એઆઈના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની કંપનીએ ચૂંટણીને ઘણી રીતે પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા છે.
આ અહેવાલમાં બહાર આવ્યું છે કે, ઇઝરાઇલ દ્વારા સંચાલિત એકાઉન્ટ્સના એક ગ્રૂપનો ઉપયોગ સિક્રેટ કેમ્પેઇન માટે કન્ટેન્ટ બનાવવા અને એડિટિંગ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ કન્ટેન્ટ એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વેબસાઇટ અને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં, આ નેટવર્કે અંગ્રેજી ભાષાના કન્ટેન્ટ સાથે ભારતમાં દર્શકોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હતું.
કેન્દ્ર સરકારે કહ્યું – લોકશાહી માટે ખતરનાક
ઓપનએઆઈ નો અહેવાલ બહાર આવ્યા બાદ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે એ બાબત ખૂબ જ સ્પષ્ટ છે કે ભાજપ કેટલાક ભારતીય રાજકીય પક્ષો દ્વારા અને/અથવા તેના દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતી અને વિદેશી હસ્તક્ષેપનું લક્ષ્ય હતું અને છે. તેમણે તેને દેશની લોકશાહી માટે ખતરનાક ખતરો ગણાવ્યો હતો.