દિલ્હીમાં માત્ર એક અને છત્તીસગઢમાં માત્ર બે વર્તમાન સાંસદને મળી ટિકિટ, જાણો ભાજપે કેમ કરી છટણી

Lok Sabha Election 2024 : દિલ્હીમાં અત્યાર સુધીમાં જાહેર કરવામાં આવેલી પાંચ બેઠકોમાં માત્ર મનોજ તિવારીએ જ પોતાનો મત વિસ્તાર જાળવી રાખ્યો છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત પોતાના રિપોર્ટમાં વિકાસ પાઠકે દિલ્હી અને છત્તીસગઢમાં શા માટે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે તેનો વિસ્તારથી ખુલાસો કર્યો છે

Written by Ashish Goyal
March 03, 2024 22:28 IST
દિલ્હીમાં માત્ર એક અને છત્તીસગઢમાં માત્ર બે વર્તમાન સાંસદને મળી ટિકિટ, જાણો ભાજપે કેમ કરી છટણી
Lok Sabha Election 2024 : ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે (એક્સપ્રેસ)

Lok Sabha Election 2024 : ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા મહત્વના રાજ્યોમાંથી ભાજપે પોતાના મોટાભાગના સાંસદો પર ફરીથી દાવ ખેલ્યો છે. જ્યારે દિલ્હી અને છત્તીસગઢમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજસ્થાન અને આસામમાં પણ કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે.

જોકે દિલ્હી અને છત્તીસગઢ બંનેમાં ભાજપે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. 2014 અને 2019માં ભાજપે દિલ્હીની તમામ સાતેય બેઠકો પર વિજય મેળવ્યો હતો. છત્તીસગઢમાં ભાજપે 2014માં 11માંથી 10 અને 2019માં 9 બેઠકો જીતી હતી.

બાંસુરી સ્વરાજને કેમ મળી ટિકિટ?

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ભાજપે નવી દિલ્હીથી ટિકિટ આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને ભાજપના કાર્યકર્તાઓનું સમર્થન છે. દિલ્હી ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ મિલનસાર છે અને પાર્ટીના કાર્યકરો તેમનામાં તેમની દિવંગત માતા સુષ્મા સ્વરાજની છબી જુએ છે.

રાષ્ટ્રીય પાટનગરમાં અત્યાર સુધીમાં જાહેર કરાયેલી પાંચ બેઠકોમાં ફેરફાર એ છે કે માત્ર મનોજ તિવારીએ પોતાનો મત વિસ્તાર જાળવી રાખ્યો છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો.હર્ષ વર્ધનને પણ નજર અંદાજ કરવામાં આવ્યા છે. રવિવારે હર્ષવર્ધને જાહેરાત કરી હતી કે તેઓ સક્રિય રાજનીતિ છોડી રહ્યા છે.

છત્તીસગઢમાં મોટો ઉલટફેર

છત્તીસગઢમાં ફક્ત બે જ ઉમેદવારો જાળવી રાખવામાં આવ્યા છે, બાકીના બહાર થઇ ગયા છે કે ગત વર્ષે રાજ્યની ચૂંટણી દરમિયાન વિધાનસભામાં ગયા હતા. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય, અરુણ સાવ અને રેણુકા સિંહ ધારાસભ્ય બન્યા બાદ આ બેઠકો ખાલી પડી હતી.

પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના ભત્રીજા વિજય બઘેલને પાટનથી વિધાનસભા ચૂંટણીમાં પોતાના કાકાને આકરી ટક્કર આપવાનું ઈનામ મળ્યું છે. ગત લોકસભાની ચૂંટણીમાં જંગી માર્જિનથી વિજય મેળવ્યો હોવા છતાં તેઓ મુશ્કેલ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર થયા છે.

આ પણ વાંચો – 10 દિવસ, 12 રાજ્ય અને 29 પ્રોગામ, પીએમ મોદી ઉત્તરથી દક્ષિણ સુધી ભાજપ માટે ચૂંટણી શંખનાદ કરશે

રાજનાંદગાંવમાં પાર્ટીએ પૂર્વ સીએમ રમણ સિંહના પુત્ર અભિષેક સિંહના દાવાને નજરઅંદાજ કરીને વર્તમાન સાંસદ સંતોષ પાંડેની પસંદગી કરી હતી. અન્ય તમામ ઉમેદવારોને એન્ટી-ઇન્કમ્બન્સી, નિષ્ક્રિયતા અને મતદારો અને પક્ષના કાર્યકરો સાથે જોડાણના અભાવના આધારે બદલવામાં આવ્યા છે.

જોકે આઠ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને મંત્રી બ્રિજમોહન અગ્રવાલને રાજ્યના રાજકારણમાં પોતાના કદને કારણે ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ્યસભા સભ્ય સરોજ પાંડે, જે અગાઉ દુર્ગથી લોકસભાના સાંસદ હતા, તેમને કોરબાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ મતવિસ્તાર એક ઔદ્યોગિક વિસ્તારનો ભાગ છે, જ્યાં આદિવાસી વસ્તી ઉપરાંત, યુપી અને બિહારના ઘણા સ્થળાંતર કરનારાઓ વસે છે.

રાજસ્થાન અને આસામ

રાજસ્થાનમાં જાહેર થયેલા 15 ઉમેદવારોમાંથી સાત નવા ચહેરા છે. ચુરુ, જાલોર, અલવર, ભરતપુર, નાગૌર, ઉદયપુર અને બાંસવાડા-ડુંગરપુર એવી બેઠકો છે જ્યાં નવા ઉમેદવારો છે.

જયપુર (ગ્રામીણ), અલવર અને રાજસમંદ રાજસ્થાનની એવી બેઠકો છે જેના પ્રતિનિધિઓ વિધાનસભામાં ગયા હતા. જયપુર (ગ્રામીણ)નું પ્રતિનિધિત્વ રાજ્યવર્ધનસિંહ રાઠોડ, અલવર બાલકનાથ અને રાજસમંદનું પ્રતિનિધિત્વ દીયા કુમારીએ કર્યું હતું.

પ્રદેશ ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે ઉમેદવારોની કામગીરી અને મતદારોમાં તેમની છબીને ધ્યાનમાં લેવામાં આવી છે. ચુરુ તરફથી પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઝાઝરિયા જાટ સમુદાયના છે, જેઓ આ વિસ્તારમાં સક્રિય છે. તેમને વર્તમાન સાંસદ રાહુલ કસવાનની જગ્યાએ લાવવામાં આવ્યા છે. અલવરથી કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ ભૂપેન્દ્ર યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આસામમાં પાર્ટીએ પ્રદર્શનના આધારે ત્રણ ઉમેદવારો બદલ્યા

આસામમાં પાર્ટીએ પ્રદર્શનના આધારે ત્રણ ઉમેદવારો બદલ્યા છે. અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત રાખ્યા બાદ એક મતવિસ્તાર બદલવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગૌહાટથી વર્તમાન સાંસદ ક્વિન ઓઝાને દૂર કરવામાં આવ્યા હતા કારણ કે તેમની કામગીરી અંગે અનેક ફરિયાદો હતી. પાર્ટીએ તેમના સ્થાને ગુવાહાટીના પૂર્વ ડેપ્યુટી મેયર બિજુલી કાલિતાને ટિકિટ આપી છે.

ભાજપે દિબ્રુગઢ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ કે જેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમને ટિકિટ આપી છે. તેજપુરમાં પલ્લબ લોચન દાસના સ્થાને રણજિત દત્તાને તક આપવામાં આવી છે. સિલચરમાં પાર્ટીએ રાજદીપ રોયની જગ્યાએ પરિમલ શુક્લબૈદ્યને મેદાનમાં ઉતાર્યા છે, કારણ કે આ બેઠક હવે અનુસૂચિત જાતિ માટે અનામત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ