Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના મતદાનના હજુ ત્રણ તબક્કા બાકી છે. ચૂંટણી પંચની આચારસંહિતા લાગુ થયા બાદ મોટા પ્રમાણમાં દારુ, ડ્રગ્સ, રોકડ રકમ સહિત અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચે શનિવારે જણાવ્યું હતું કે, 1 માર્ચથી લઇ અત્યાર સુધી લગભગ રૂ.9,000 કરોડનો માલસામાન જપ્ત કરાયો છે, જેમાં રોકડ રકમ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને અન્ય લાંચની ચીજો સામેલ છે.
3958 કરોડનો ડ્રગ્સ જપ્ત કરાયો
દેશભરની તપાસ એજન્સીઓ 1 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 8889 કરોડના મૂલ્યનો માલસામાન જપ્ત કરાયો છ, જેમા મૂલ્યની રીતે સૌથી વધુ હિસ્સો ડ્રગ્સનો 45 ટકા હિસ્સો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સનું મૂલ્ય 3958 કરોડ છે. એજન્સીઓએ 849.15 કરોડની રોકડ, 814.85 કરોડની મૂલ્યનો 5.39 કરોડ લીટર દારૂ પણ જપ્ત કર્યો છે. તો 1260.33 કરોડ રૂપિયાની મૂલ્યની કિંમતી ધાતુઓ અને મતદારોને મફતમાં વહેંચવા માટે લાવવામાં આવેલી 2,006.56 કરોડ રૂપિયાની ચીજવસ્તુ જપ્ત કરવામાં આવી છે.
સમગ્ર દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ જપ્તીમાં ગુજરાતનો સૌથી વધુ હિસ્સો છે. તપાસ એજન્સીઓએ ગુજરાતમાં કુલ 1461.73 કરોડ રૂપિયાનો માલસામાન જપ્ત કર્યો છે. આ રકમ ગુજરાત ATS, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તાજેતરમાં કરાયેલી કાર્યવાહીને પ્રતિબિંબિત કરે છે જેના કારણે ત્રણ દિવસમાં 892 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું કે, “કમિશને માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોને જપ્ત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. આંકડાઓના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો જે ટ્રાન્ઝિટ ઝોન તરીકે ઉપયોગમાં લેવાતા હતા તે વધુને વધુ વપરાશના પ્રદેશો બની રહ્યા છે.
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં સૌથી વધુ 1187.80 કરોડનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ પંજાબમાં 665.67 કરોડ, દિલ્હીમાં 358.42 કરોડ અને તમિલનાડુમાં 330.91 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે.

ચૂંટણી પંચને આચાર સંહિતાના ઉલ્લંઘન વિશે 4.24 લાખ ફરિયાદ મળે
શનિવારે અન્ય એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તેની cVigil એપ્લિકેશનને અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન વિશે 4.24 લાખ ફરિયાદો મળી છે.
એપ્લિકેશન વપરાશકર્તાઓને ગેરકાયદેસર ઝુંબેશ સામગ્રી, મફત વિતરણ અને અન્ય MCC ઉલ્લંઘનોના ફોટા અપલોડ કરવાની મંજૂરી આપે છે. આ ફરિયાદોમાં રાજકીય પક્ષો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદોનો સમાવેશ થતો નથી, કારણ કે તે કમિશન અથવા સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ સીધી નોંધવામાં આવે છે.
ચૂંટણી પંચ એ જણાવ્યું કે, આમાંથી 423908 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકીના 409 કેસ પ્રક્રિયા હેઠળ છે. લગભગ 89 ટકા ફરિયાદોનું નિરાકરણ 100 મિનિટની સમય મર્યાદા કરવામાં આવ્યું હતું, જેનું વચન ECI દ્વારા નિશ્ચિતપણે રાખવામાં આવ્યું હતું.
અત્યાર સુધીની મોટાભાગની 3.24 ફરિયાદો પોસ્ટરો કે બેનરો પરવાનગી વિના પ્રદર્શિત કરવા સંબંધિત છે. 16 માર્ચે ચૂંટણીની જાહેરાતથી શરૂ કરીને 15 મે સુધી સીવિગિલ એપને કુલ 424317 ફરિયાદો મળી છે, એવું ECએ જણાવ્યું હતું.
એપને દારૂ અને અન્ય મફત વિતરણ અંગે 7022 ફરિયાદો; લોકસભા ચૂંટણી 2024 મતદાન પહેલાંના 48 કલાક દરમિયાન પ્રચાર અંગે 4742 ફરિયાદો; ચૂંટણી સભા દરમિયાન ધાર્મિક અથવા સાંપ્રદાયિક ભાષણોના ઉપયોગ વિશે 2883 ફરિયાદો અને હથિયારો/ધમકાવવા વિશે 2430 ફરિયાદ મળી છે.





