/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/PM-Narendra-Modi-.jpg)
Lok Sabha Election 2024 - ચૂંટણી જનસભા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024માં ઘણા બધા પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તમામ મુખ્ય રાજકીય પક્ષોએ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 18 પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. તેમાંના ઘણા પાસે એક દાયકાથી વધુનો અનુભવ છે. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકના ત્રણ-ત્રણ પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે જ્યારે મધ્યપ્રદેશના બે પૂર્વ મુખ્યમંત્રી - દિગ્વિજય સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ મેદાનમાં છે.
પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે
ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. હાલ મોદી વારાણસીથી સાંસદ છે. 2019ની ચૂંટણીમાં મોદીએ આ લોકસભા સીટ પર 63.62 ટકા વોટ મેળવીને જીત મેળવી હતી.
રાજનાથ સિંહ ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી
મોદી કેબિનેટમાં રહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ વખતે ભાજપે તેમને લખનઉ લોકસભા મત વિસ્તારમાંથી પણ મેદાનમાં ઉતાર્યા છે. રાજનાથ સિંહ 28 ઓક્ટોબર 2000થી 8 માર્ચ 2002 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ લખનઉથી સાંસદ પણ છે. વર્ષ 2019માં રાજનાથ સિંહ 6.33 લાખથી વધુ વોટ સાથે સંસદ પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ બે કેન્દ્રીય મંત્રીઓ જે એક સમયે મુખ્યમંત્રી હતા, તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જેમાં કૃષિ પ્રધાન અર્જુન મુંડા અને શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલનો સમાવેશ થાય છે. મુંડા ઝારખંડ અને આસામના સોનોવાલના મુખ્યમંત્રી હતા. હાલ સોનોવાલ રાજ્યસભાના સભ્ય છે. મુંડાને ઝારખંડના ખૂંટીથી અને સોનોવાલને આસામના દિબ્રુગઢથી નામાંકિત કરવામાં આવ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/rajnath-singh-.jpg)
શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી લોકસભા ચૂંટણી લડશે
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવ્યા બાદ એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ન હતા.
ખાસ વાત એ છે કે 16 વર્ષ કરતા વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેલા શિવરાજે રાજકારણમાંથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી દીધી હતી, પરંતુ પાર્ટીએ હવે તેમને વિદિશા લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે. કદાચ શિવરાજ સિંહ ભાજપમાં પહેલા એવા નેતા હશે જે નિવૃત્તિ બાદ પણ ચૂંટણીના મેદાનમાં છે. શિવરાજ સિહં વિદિશાથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. એક દાયકા સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજય સિંહને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. હાલ રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહને કોંગ્રેસે મધ્યપ્રદેશની રાજગઢ બેઠક પરથી ટિકિટ આપી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/shivraj-singh-chouhan-1.jpg)
હરિયાણાના સીએમ મનોહરલાલખટ્ટર પહેલીવાર લોકસભા ચૂંટણી લડશે
દિગ્વિજય સિંહ રાજગઢથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામું અપાવ્યા બાદ ભાજપ તેમને કરનાલથી લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. હરિયાણાના બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા મનોહર લાલ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાંથી ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી મેદાનમાં
જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ લોકસભા ચૂંટણી મેદાનમાં છે. ગુલામ નબી આઝાદ રાજૌરી, અનંતનાગ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર છે. આઝાદ કોંગ્રેસ પાર્ટી તરફથી 2 નવેમ્બર, 2005થી 11 જુલાઈ, 2008 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા હતા. હાલ તેઓ ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના અધ્યક્ષ છે અને પાર્ટીના નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે. તેવી જ રીતે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બારામુલાથી ચૂંટણી મેદાનમાં છે. ઓમર 5 જાન્યુઆરી, 2009થી 8 જાન્યુઆરી, 2015 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
આ વખતે નેશનલ કોન્ફરન્સના વડા અને ઓમરના પિતા ફારુક અબ્દુલ્લા ચૂંટણી નથી લડી રહ્યા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સીટો પર સમજૂતી ન થઇ શકી. મહેબૂબા મુફ્તી 4 એપ્રિલ, 2016થી 20 જૂન, 2016 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા હતા.
કર્ણાટકથી લોકસભા ચૂંટણી લડશે ત્રણ પૂર્વ સીએમ
જમ્મુ-કાશ્મીરની જેમ કર્ણાટકમાંથી પણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ લોકસભા ચૂંટણી મેદાનમાં છે. ભાજપે બે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને જગદીશ શેટ્ટરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ બેલાગવીથી શેટ્ટરને અને બોમ્માઇએ હાવેરી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જનતા દળ (સેકુ)ના નેતા એચડી કુમારસ્વામી માંડ્યાથી ચૂંટણી લડશે.
અન્ય પૂર્વ મુખ્યમંત્રીઓ કે જેઓ મેદાનમાં છે તેમાં ત્રિવેન્દ્રસિંહ રાવત, ભૂપેશ બઘેલ, જીતનરામ માંઝી અને બિપ્લબકુમાર દેબનો સમાવેશ થાય છે. ભાજપે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને હરિદ્વાર લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવથી કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે.
તેવી જ રીતે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી ગયા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. આવી જ રીતે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ભાજપે પશ્ચિમ ત્રિપુરા લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us