લોકસભા ચૂંટણી 2024 : વરુણ ગાંધી નવા જુની કરવાના મૂડમાં! ઉમેદવારી પેપરને લઇને ચર્ચામાં

Lok Sabha Elections 2024 : પીલીભીત લોકસભા સીટ માટે પહેલા તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે આજથી ઉમેદવારી શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી

Written by Ashish Goyal
Updated : March 20, 2024 18:21 IST
લોકસભા ચૂંટણી 2024 : વરુણ ગાંધી નવા જુની કરવાના મૂડમાં! ઉમેદવારી પેપરને લઇને ચર્ચામાં
ભાજપના સાંસદ વરુણ ગાંધી (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપે હજુ સુધી પીલીભીત બેઠક પરથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, પરંતુ ચર્ચા છે કે ભાજપ આ વખતે વરુણ ગાંધીને ટિકિટ નહીં આપે. આ ચર્ચાઓ વચ્ચે પીલીભીતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે વરુણ ગાંધીના પ્રતિનિધિએ પીલીભીતથી સાંસદના ઉમેદવારી પત્રો ખરીદ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરુણ ગાંધીના પ્રતિનિધિ દિલ્હીથી આવ્યા હતા. તેમણે ચાર સેટ નોમિનેશન પેપર ખરીદ્યા અને દિલ્હી ચાલ્યા ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર વરુણ ગાંધીને જો ભાજપમાંથી ટિકિટ ના મળે તો અપક્ષ ઉમેદવાર તરીકે પીલીભીતથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે લોકસભા સીટોના નામને લઈને હજુ સુધી પીએમ મોદીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક થવાની બાકી છે. આ બેઠકમાં વરુણને ટિકિટ મળશે કે નહીં તે નક્કી થશે. મીડિયા રિપોર્ટ અનુસાર કોર કમિટીની બેઠકમાં રાજ્ય સ્તરે ભાજપના તમામ નેતાઓએ વરુણ ગાંધીને ટિકિટ આપવાનો વિરોધ કર્યો છે.

પીલીભીતથી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી

તમને જણાવી દઈએ કે પીલીભીત લોકસભા સીટ માટે પહેલા તબક્કામાં વોટિંગ થવાનું છે. આ માટે આજથી ઉમેદવારી શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી ભાજપ અને સપાએ પોતાના પત્તા ખોલ્યા નથી. આ બેઠક પરથી વરુણ ગાંધી સાંસદ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વરુણ ગાંધી અનેક વાર રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે તેમની ભાજપ પ્રત્યેની નારાજગી જગજાહેર છે. પરંતુ તે ચોક્કસપણે છે કે કેટલાક સમય માટે વરુણ ગાંધી તેમના સત્તાવાર એક્સ હેન્ડલથી પીએમ મોદીની પોસ્ટને રિપોસ્ટ કરતા રહે છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી, ચૂંટણી ઢંઢેરામાં આ વાતો પર ફોક્સ કરશે

સમાજવાદી પાર્ટીએ વરુણ ગાંધી માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે

મંગળવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે સંકેત આપ્યા હતા કે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી વરુણ ગાંધીને ટિકિટ આપવામાં આવી શકે છે. અખિલેશ યાદવ અહીં એક બિઝનેસ મીટિંગમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન તેમને વરુણ ગાંધી વિશે સવાલ કરવામાં આવ્યા હતા.

વરુણ ગાંધી વિશે પૂછાયેલા સવાલના જવાબમાં અખિલેશે કહ્યું હતું કે ભાજપનો મુદ્દો છે કે તે કોને ટિકિટ આપે છે અને કોને નથી આપતી. અમારી સમિતિ દરેક બાબતને ધ્યાનમાં લે છે. એટલે કે સમાજવાદી પાર્ટીએ વરુણ ગાંધી માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે અને પાર્ટી રાજકીય સ્થિતિ પર નજર રાખી રહી છે તે સ્પષ્ટ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ