Maha Kumbh 2025, મહા કુંભ 2025 : જૂના જમાનામાં મેળામાં ખોવાઇ જવું એ સામાન્ય વાત હતી. ઘરની બહાર નીકળતા પહેલા દાદી અને દાદા કહેતા હતા કે ક્યાંય છૂટા ના પડી જતા. પરંતુ હવે ટેકનોલોજીના આ નવા યુગમાં એ ભૂતકાળની વાત બની જશે. આગામી વર્ષે પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાવાનો છે અને તેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે ‘ખોયા-પાયા સિસ્ટમ’ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જેથી કુંભમેળામાં જો કોઇ પોતાના પ્રિયજનોથી અલગ થઇ જાય તો તેને વહેલી તકે પરિવાર સાથે મિલન કરાવવામાં આવશે.
જો મેળામાં ખોવાઈ જાવ તો મિનિટોમાં પરિવાર પાસે પહોંચી જશો
કુંભમેળાનો ઉલ્લેખ થતાં જ અનેક ફિલ્મી વાર્તાઓ મનમાં પહેલા ઝબકી જાય છે, જેમાં ભાઈ-ભાઈ, માતા-પુત્ર કે પ્રેમી-પ્રેમિકાને ભીડમાં એકબીજાથી અલગ થઇ જતા હતા. છુટા પડવાના આ દ્રશ્યનો ઉપયોગ ઘણી જૂની બોલિવૂડ ફિલ્મોમાં ખૂબ જ ભાવનાત્મક રીતે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ફિલ્મી ધારણા તોડવાની પુરી તૈયારી કરી લીધી છે.
રાજ્ય સરકાર દ્વારા બુધવારે જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર પ્રયાગરાજ મેળા ઓથોરિટી અને પોલીસ વિભાગે મળીને આ વર્ષના મહાકુંભ મેળામાં હાઈ ટેકનોલોજી ખોયા પાયા રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે.
આ પણ વાંચો – Akasa Air ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બેંગલુરું જઇ રહેલું પ્લેન દિલ્હી પરત ફર્યું
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નવી પહેલ સલામતી, જવાબદારી અને તકનીકીનું એક સંપૂર્ણ સંયોજન છે જે મહા કુંભ મેળાને સલામત અને આનંદપ્રદ અનુભવ બનાવશે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે કુંભ મેળામાં દરેક વ્યક્તિનું ધ્યાન રાખવામાં આવશે, હવે કોઈ પણ પોતાના પ્રિયજનોથી અલગ નહીં થાય અને જો આવું થશે તો પણ તે પોતાના પરિવારને વહેલી તકે મળી શકશે.
સરકાર શું વ્યવસ્થા કરી રહી છે?
જાણકારી પ્રમાણે હવે આ હાઈટેક ખોયા પાયા કેન્દ્રોમાં ખોવાયેલી વ્યક્તિઓનું ડિજિટલ રજિસ્ટ્રેશન થશે, જેથી તેમનો પરિવાર કે મિત્રો તેમને સરળતાથી શોધી શકશે. તેમજ તમામ ગુમ થયેલા વ્યકિતઓ માટે કેન્દ્રો પર જાહેરાત કરવામાં આવશે અને ખોયા પાયા કેન્દ્રોમાં દરેક ખોવાયેલી વ્યકિતની નોંધણી તાત્કાલિક કરવામાં આવશે અને તેમની માહિતી અન્ય કેન્દ્રો અને ફેસબુક અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જાહેર કરવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યવસ્થાથી કુંભ મેળાને સુરક્ષિત બનાવવાની સાથે પરિવારોને તેમના પ્રિયજનો સાથે ઝડપથી અને સરળતાથી શોધવામાં પણ મદદ મળશે. જો કુંભ મેળામાં કોઈ વ્યક્તિ તેના નજીકના અને પ્રિયજનોથી અલગ થઈ જાય છે તો સલામત, વ્યવસ્થિત અને જવાબદાર સિસ્ટમ દ્વારા તેની કાળજી લેવામાં આવશે.