BJD MP Mamata Mohanta Resigns Form Rajya Sabha MP: રાજીનામુંઃ ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સાંસદ મમતા મોહંતાએ બુધવારે પાર્ટીની સાથે સાથે રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દીધું હતું. મમતા મોહંતા એ પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને મોકલ્યું હતું.
જગદીપ ધનખડે કહ્યું કે, મને આજે મમતા મોહંતાનું રાજીનામું મળી ગયું છે. હું તેને બંધારણીય રીતે યોગ્ય માનું છું. મેં ઓડિશા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા સાસંદ મમતા મોહંતનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.
મમતા મોહંતાએ પાર્ટી અધ્યક્ષ નવીન પટનાયકને લખેલા રાજીનામાના પત્રમાં લખ્યું છે કે, હું આ દ્વારા બીજુ જનતા દળના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મયૂરભંજના લોકોની સેવા કરવાની અને રાષ્ટ્રીય સ્તરે ઓડિશાના ઉદ્દેશ્યને આગળ વધારવાની મને તક આપવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. બીજેડીને આજે મારી સેવાઓની જરૂર નથી લાગતી.
ભાજપમાં જોડાવાની અટકળો
મમતા મોહંતા એ કહ્યું કે, હું જનતાની નેતા છું અને તેમની સેવા કરવી એ મારી મુખ્ય ફરજ છે, તેથી મને બીજેડીમાં રહેવાની જરૂર નહોતી લાગતી. તેથી, મેં બીજુ જનતા દળના પ્રાથમિક સભ્યપદેથી અને રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે મને જિલ્લા પરિષદના સભ્ય અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટીને તેમના જિલ્લા મયુરભંજ અને રાજ્યની સેવા કરવાની તક આપી. તેમના રાજીનામાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ શકે છે.
ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડીની કારમી હાર
તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં નવીન પટનાયકના બીજુ જનતા દળને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ આ રાજ્યમાં સરકાર બનાવી હતી. ભાજપે 78 બેઠકો સાથે સાદી બહુમતી મેળવી હતી અને બીજુ જનતા દળ (બીજેડી) અને તેના નેતા નવીન પટનાયકના 24 વર્ષના શાસનનો અંત લાવીને ઇતિહાસ રચ્યો હતો. ક્યોઝરના ધારાસભ્ય મોહન ચરણ માઝી રાજ્યના મુખ્યમંત્રી છે અને કનક વર્ધનસિંહ દેવ અને પ્રવતી પરીદા નાયબ સીએમ છે. નવીન પટનાયકને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.