Manmohan Singh Memorial News: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવા વિશે સ્થળ નક્કી થઇ ગયું છે. સ્વર્ગીય પીએમ મનમોહન સિંહનું દિલ્હીના રાજઘાટ પાસે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર બનાવવામાં આવશે. ભારત સરકારે આ સ્મારક માટે 900 ચોરસ મીટરની જમીનને ફાઇનલ કરી દીધી છે, મોટી વાત એ છે કે પૂર્વ પીએમના પરિવારે પણ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. ગયા અઠવાડિયે, મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્રને ઔપચારિક મંજૂરી આપી હતી.
મનમોહન સિંહનું સ્મારક ક્યાં બનશે?
તેમના સિવાય પૂર્વ પીએમની બંને પુત્રીઓ પણ પોતાના પતિ સાથે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળની મુલાકાતે આવી હતી, તેમને પણ તે જગ્યા સામે કોઇ વાંધો નથી. હવે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મનમોહન સિંહનું ગયા વર્ષે ડિસેમ્બરમાં નિધન થયું હતું, ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેઓ દુનિયાને અલવિદા કરી ગયા હતા. હવે તેમના નિધન બાદ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓએ પૂર્વ પીએમ માટે અલગ સ્મારક બનાવવાની માંગ કરી હતી. તે પછી જ કેન્દ્રએ જાહેરાત કરી હતી કે મનમોહન સિંહ માટે એક સ્મારક બનાવવામાં આવશે.
સરકાર કેટલો ખર્ચ કરશે?
આ સમયે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર માત્ર બે જગ્યા ખાલી હતી, એક ભાગમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યારે હવે બીજી જગ્યાએ મનમોહન સિંહનું સ્મારક બનવા જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પૂર્વ વડા પ્રધાન માટે ફાળવવામાં આવેલી જમીન અહીંનું છેલ્લું સ્મારક બનવા જઈ રહ્યું છે. મનમોહન સિંહના પરિવારના જણાવ્યા અનુસાર, પૂર્વ પીએમ ચંદ્રશેખર અને પૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટરામનના સ્મારક પણ ત્યાં હાજર છે. જો કે મનમોહન સિંહનું સ્મારક બનાવવાનું કામ એક ટ્રસ્ટે કરવાનું રહેશે, જેનું નિર્માણ તેમના પરિવાર દ્વારા કરવામાં આવશે. ટ્રસ્ટને સરકાર તરફથી વધુમાં વધુ 25 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે.
2000માં અટલ સરકારનો નિર્ણય શું હતો?
રસપ્રદ વાત એ છે કે વર્ષ 2000માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓના નિધન બાદ કોઈ સ્મારક બનાવવામાં નહીં આવે. હાલમાં રાજઘાટ સંકુલ અને તેની આસપાસ 18 સ્મારકો છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને નાયબ વડા પ્રધાનોના સ્મારકોનો સમાવેશ થાય છે.





