/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/PM-Narendra-Modi-Lifestyle.jpg)
પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
modi cabinet meeting decisions : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ઘણી મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી. દિવાળી પહેલા ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, બીજી તરફ રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે પણ સહમતી સધાઈ છે.
બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતો સાથે જોડાયેલી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચેન્નઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી મળી ગઈ છે.
ખેડૂતોની આવક વધારવા માટેનો નિર્ણય
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે કેબિનેટની બેઠકમાં જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે સંબંધિત છે. તેના બે સ્તંભ છે – પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ યોજના. આ બંને યોજનાઓ માટે 1,01,321 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બંને હેઠળ 9-9 સ્કીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંની ઘણી વસ્તુઓનો સીધો સંબંધ ખેડૂતોની આવક અને મધ્યમ વર્ગના પરિવારોની થાળી સાથે છે.
આ પણ વાંચો - ભારત પાસે પણ ઇઝરાયેલ જેવું ‘સુરક્ષા કવચ’?
રેલવે કર્મચારીઓને બોનસની જાહેરાત
આ સાથે કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસની ભેટ આપવાની પણ મંજૂરી આપી દીધી છે. રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને કેબિનેટે 11,72,240 રેલવે કર્મચારીઓને 2028.57 કરોડ રૂપિયાની રકમના 78 દિવસ માટે બોનસની ચુકવણીને મંજૂરી આપી હતી. આ રકમ રેલવે કર્મચારીઓની વિવિધ કેટેગરી જેમ કે ટ્રેક મેન્ટેનન્સર, લોકો પાઇલટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર્સ, ટેક્નિશિયન્સ, ટેક્નિશિયન હેલ્પર્સ, પોઇન્ટમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને ગ્રુપ એક્સસી ના અન્ય કર્મચારીઓને આપવામાં આવશે.
5 ભાષાઓને ક્લાસિકલ ભાષાનો દરજ્જો અપાયો
આ સાથે 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમિળ, સંસ્કૃત, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઓડિયાને પહેલેથી જ ક્લાસિકલ ભાષાનો દરજ્જો મળેલો છે.
ચેન્નાઈ મેટ્રોના બીજા તબક્કાને મંજૂરી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ચેન્નાઈ મેટ્રો ફેઝ-2 ને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં 63,246 કરોડનો ખર્ચ થશે. આ તબક્કો 119 કિલોમીટરનો હશે. તેમાં 120 સ્ટેશન હશે. તેના નિર્માણમાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો 50-50 ટકા રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us