/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/National-Doctors-Day-2025.jpg)
દર વર્ષે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)
National Doctor Day 2025 Date, History, Theme: આ પૃથ્વી પર ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. તે ડોક્ટર છે જે કોઈ વ્યક્તિને મોતના મોઢામાંથી બહાર કાઢીને તેને નવું જીવન આપવા માટે તમામ પ્રયત્નો કરે છે. ડોકટરોના આ યોગદાન માટે આભાર અને સન્માન વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 જુલાઈને આપણા દેશમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
નેશનલ ડોક્ટર્સ ડે 1 જુલાઈએ જ કેમ ઉજવવામાં આવે છે?
1 જુલાઈએ ડૉક્ટર્સ ડે ઉજવવાનું ખાસ કારણ એ છે કે આ દિવસે મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો.બિધાન ચંદ્ર રોયની જન્મજયંતિ તેમજ તેમની પુણ્યતિથિ છે. ડો.બિધાન ચંદ્ર રોયનો જન્મ 1 જુલાઈ 1882ના રોજ બિહારના પટનામાં થયો હતો અને 1 જુલાઈ 1962ના રોજ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તબીબી સેવા અને જાહેર આરોગ્યના ક્ષેત્રમાં ડો. બી. સી. રોયનો મોટો ફાળો હતો.
આ સાથે જ ભારતમાં 1 જુલાઈ 1991ના રોજ પહેલીવાર આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 1 જુલાઈના રોજ ડો.બી.સી.રોય અને અન્ય તબીબો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે નેશનલ ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવે છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના
મેડિકલ (MBBS) ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતી ગુજરાતની દીકરીઓનું તબીબી શિક્ષણ આર્થિક મુશ્કેલીઓને લીધે અટકે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારે 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના' (MKKN) અમલી બનાવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય MBBSમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પરિણામે આજે રાજ્યમાં અસંખ્ય મહત્વાકાંક્ષી 'વ્હાઈટ-કોટ' મહિલા વોરિયર્સ સફળતાપૂર્વક તેમના સપનાંને સાકાર કરી રહી છે.
772 કરોડ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ કે જેઓ ધો-12 પછી MBBSમાં પ્રવેશ મેળવે છે, તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યની 25,768 વિદ્યાર્થિનીઓને ડૉક્ટર બનવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹772 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. વર્ષ 2024-25 માટે આ યોજના હેઠળ 4500 વિદ્યાર્થિનીઓને 150 કરોડની સહાયનો લક્ષ્યાંક હતો, જેની સામે 5155 વિદ્યાર્થિનીઓને ₹162.69 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચો - વાઘ વિ દીપડો : બન્નેની લડાઈમાં કોણ જીતશે? જાણો અહીં
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વર્ષ 2017-18માં શરૂ કરી હતી. આ યોજના હેઠળ 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થિનીઓ માટે 50% પ્રવેશ ફી રાજ્ય દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે, જેઓ તેમના NEET સ્કોરના આધારે MBBSમાં પ્રવેશ મેળવે છે અને આ સહાય માટે તેમના કોમ્યુનિટી બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લેવામાં આવતું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us