Niti Aayog Governing Council Meeting: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો વિષય ‘Viksit Rajya for Viksit Bharat@2047’ (વિકસિત રાજ્ય ફોર વિકસિત ભારત@2047) છે. આ બેઠકમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિ આયોગના અધ્યક્ષ છે.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારત દરેક ભારતીયનું લક્ષ્ય છે. જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે, ત્યારે ભારતનો પણ વિકાસ થશે. આ 140 કરોડ નાગરિકોની આકાંક્ષા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતે વિકાસની ગતિ વધારવી પડશે.
મોદીએ બેઠકમાં ઉપસ્થિત મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓને કહ્યું કે જો કેન્દ્ર અને તમામ રાજ્યો એક સાથે આવે અને ‘ટીમ ઇન્ડિયા’ની જેમ સાથે મળીને કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. પુડ્ડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામી નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા ન હતા.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઝડપથી શહેરીકરણ થઇ રહ્યું છે. આપણું લક્ષ્ય દરેક રાજ્યને વિકસિત દરેક શહેરને વિકસિત, દરેક નગરપાલિકાને વિકસિત અને દરેક ગામને વિકસિત બનાવવાનું હોવું જોઈએ. જો આપણે આ દિશામાં કામ કરીશું તો આપણે વિકસિત ભારત બનવા માટે 2047 સુધી રાહ નહીં જોવી પડે.
કોંગ્રેસે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને લઇને કટાક્ષ કર્યો
બીજ તરફ કોંગ્રેસે ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને લઇને કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો પોતાના શબ્દો અને કર્મો દ્વારા સામાજિક સંવાદિતાના તાણાવાણાને તોડવામાં લાગેલા છે ત્યારે કેવી રીતે વિકસિત ભારત હશે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે નીતિ આયોગની બેઠક ધ્યાન ભટકાવવાનો બીજો પ્રયાસ છે.
નીતિ આયોગની બેઠકમાં પુડ્ડુચેરી, કર્ણાટક અને કેરળના મુખ્યમંત્રીઓ સામેલ થયા ન હતા. આ બેઠકમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી- એન ચંદ્રબાબુ નાયડુ, એમકે સ્ટાલિન અને રેવંત રેડ્ડી હાજર રહ્યા હતા. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુ પણ સામેલ થયા હતા.