nitin gadkari statement on caste politics : ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાતિગત રાજનીતિ કરનારા નેતાઓ પર પ્રહાર કર્યો છે. ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આ સમયે મહારાષ્ટ્રમાં જાતિવાદનું રાજકારણ થઈ રહ્યું છે. હું કોઈ પણ પ્રકારની જાતિમાં માનતો નથી અને જે કોઈ પણ તેના વિશે વાત કરશે તેને હું લાત મારીશ.
નીતિન ગડકરીએ કહ્યું કે મારા મતવિસ્તારમાં લગભગ 40 ટકા મુસ્લિમો છે. મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે હું આરએસએસ વાળો છું અને અડધી ચડ્ડી વાળો છું. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈને મત આપતા પહેલા વિચારજો કે પાછળથી પસ્તાવો ન કરવો પડે. ગડકરીએ કહ્યું કે જે લોકો મને મત આપે છે તેમનું પણ કામ હશે અને જે લોકો મત નહીં આપે તેમનું પણ કામ પણ હું કરીશ.
જાતિના આધારે કોઈ મોટું થતું નથી: નીતિન ગડકરી
ભાજપના નેતા નીતિન ગડકરીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જાતિના આધારે મોટો થતો નથી. ગરીબી, ભૂખમરો અને રોજગાર દરેક માટે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સિલિન્ડર હોય કે અન્ય કોઇ વસ્ત સવર્ણ જાતિ કે અને પછાત જાતિના લોકો તેને એક જ કિંમતે ખરીદે છે. ગડકરીએ કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ એક જ કિંમતે પેટ્રોલ ખરીદે છે.
જાતિવાદ વિકાસને ખતમ કરી નાખશેઃ નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ જાતિવાદ વધી રહ્યો છે અને તેનાથી વિકાસ ખતમ થવાનો છે. તમામ રાજકીય નેતાઓએ આ અંગે જાગૃત રહેવું જોઈએ અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપ્યા વિના જાહેર સેવા અને વિકાસની રાજનીતિ કરવી જોઈએ.
આ પણ વાંચો – ‘ભારતમાં બેરોજગારીનો મોટો રોગ…’, રાહુલ ગાંધીએ ગુજરાતની ઘટના પર કહ્યું – બીજેપી શાસિત રાજ્યો એપીસેન્ટર
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 6000 કરોડ રૂપિયા ખર્ચ કરીને રિંગ રોડ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર મોટા પાયે દેશનો વિકાસ કરી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓએ જનતાની જરૂરિયાતોને સમજીને તેને પૂરી કરવી જોઈએ. તો જ જનતા વોટના રૂપમાં પોતાના આશીર્વાદ આપશે.
આ વર્ષે મહારાષ્ટ્રમાં યોજાશે વિધાનસભા ચૂંટણી
આ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 105, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 54 અને કોંગ્રેસને 44 સીટો મળી હતી. જો કે ચૂંટણી બાદ રાજ્યમાં ભારે ઉથલ-પાથલ થઇ ગઇ છે.
ચૂંટણી બાદ શિવસેનાએ એનડીએથી અલગ થઇને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા હતા. આ પછી જૂન 2022માં શિવસેનામાં આંતરિક વિખવાદ થયો હતો. એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે છેડો ફાડ્યો હતો. આ પછી ભાજપના ટેકાથી તેમણે રાજ્યમાં સરકાર બનાવી હતી અને સીએમ બન્યા હતા.