One Nation One Election: વન નેશન વન ઇલેક્શન મામલે મોટા સમાચાર છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી અને એક દેશ એક ચૂંટણી મામલે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. રામનાથ કોવિંદ પેનલનો આ રિપોર્ટ કુલ 18,626 પેજનો છે. રિપોર્ટમાં 2029માં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે. ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા વિસ્તૃત વિચાર-વિમર્શ, ચર્ચા અને હોદ્દેદારો, નિષ્ણાંતો સાથે સતત 191 દિવસ સુધી કામ કર્યા બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો.
વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગત સપ્ટેમ્બરમાં રચાયેલી આ સમિતિને હાલના બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એક સાથે યોજવાની શક્યતાઓ ચકાસવાની અને ભલામણો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના પૂર્વ અધ્યક્ષ એન.કે.સિંહ , લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનો સમાવેશ થાય છે.
કમિટીના રિપોર્ટમાં શું-શું છે?
- શરૂઆતમાં દર 10 વર્ષે બે ચૂંટણીઓ થતી હતી. હવે દર વર્ષે ઘણી ચૂંટણીઓ થાય છે. જેમાં સરકાર, ઉદ્યોગો, શ્રમિકો, અદાલતો, રાજકીય પક્ષો, ચૂંટણી લડતા ઉમેદવારો અને નાગરિક સમાજ પર ભારે બોજો પડે છે.
- સમિતિએ ભલામણ કરી છે કે સરકારે એક સાથે ચૂંટણીઓના ચક્રને પુન:સ્થાપિત કરવા માટે કાનૂની રુપથી મિકેનિઝમ વિકસાવવું જોઈએ.
- પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી થવી જોઈએ. બીજા તબક્કામાં નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ સાથે સંકલન કરવામાં આવશે.
- લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીના 100 દિવસની અંદર નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ યોજી શકાશે.
- લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવાના હેતુસર સમિતિ ભલામણ કરે છે કે ભારતના રાષ્ટ્રપતિ સામાન્ય સભા પછીની લોકસભાની પ્રથમ બેઠકની તારીખન જાહેરનામા દ્વારા જારી કરી શકે છે. ચૂંટણી પંચ આ કલમની જોગવાઈને લાગુ કરે અને જાહેરનામાની તે તારીખ નક્કી કરેલી તારીખ કહેવાશે.
આ પણ વાંચો – ભાજપની બીજી 72 ઉમેદવારની યાદી જાહેર, ગડકરી નાગપુરથી, ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે
- સમિતિ ચૂંટણી યોજવા માટે આર્ટિકલ3 24 એ નો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
- સમિતિની ભલામણ છે કે, ત્રિશંકુ ગૃહ, અવિશ્વાસ પ્રસ્તાવ કે આવી કોઈ ઘટનાની સ્થિતિમાં નવા ગૃહની રચના માટે નવેસરથી ચૂંટણી યોજાઈ શકે છે.
- જ્યાં નવેસરથી લોકસભાની ચૂંટણીઓ યોજાય છે, ત્યાં લોકસભાની મુદત લોકસભાની સંપૂર્ણ મુદત અગાઉની બાકીની મુદત માટે જ રહેશે અને આ મુદતની મુદત વિલીન થવાનું કાર્ય વિસર્જનનું કામ કરશે.
- રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો તમામ પક્ષો કાયદા પંચના પ્રસ્તાવ પર સહમત થાય છે તો તે 2029થી જ લાગુ થશે. આ માટે ડિસેમ્બર 2026 સુધી 25 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવી પડશે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભાઓનો કાર્યકાળ 6 મહિના વધારીને જૂન 2029 સુધી કરવામાં આવે. ત્યાર બાદ તમામ રાજ્યોમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે થશે.
- આ અહેવાલ 2 સપ્ટેમ્બર 2023 ના રોજ પેનલની રચના પછી હિતધારકો અને નિષ્ણાંતની પરામર્શ અને 191 દિવસના સંશોધનનું પરિણામ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આઠ સભ્યોની સમિતિની રચના ગત વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. 23 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીના જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં વન નેશન વન ઇલેક્શન કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 સભ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને આ સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે.