/indian-express-gujarati/media/media_files/2025/12/31/baisaran-pahalgam-2025-12-31-11-53-10.jpg)
કાશ્મીરનું 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' કહેવાતું બૈસરન મેદાન આજે કેમ શાંત છે? રુંવાડા ઉભા કરી દેતો ગ્રાઉન્ડ રિપોર્ટ Photograph: (Indian Express)
Pahalgam Baisaran Terror Attack 2025: કાશ્મીરનું એ મેદાન જેને લોકો 'મિની સ્વિટ્ઝર્લેન્ડ' કહેતા હતા, જે બૈસરન (Baisaran) ના નામે જગવિખ્યાત હતું, ત્યાં આજે કુદરતી સૌંદર્ય તો છે પણ માનવીય હલચલ થંભી ગઈ છે. 22 એપ્રિલ, 2025ની એ કાળી બપોર જ્યારે 26 પ્રવાસીઓનું લોહી આ લીલાછમ મેદાન પર રેડાયું હતું, તેણે પહલગામનો ચહેરો કાયમ માટે બદલી નાખ્યો છે. આ ભયાનક આતંકી હુમલાના 8 મહિના બાદ પણ ખીણમાં ડર અને આશા વચ્ચે જંગ ચાલી રહી છે.
સન્નાટામાં ગુંજતી ચીસો અને બદલાયેલું જીવન
40 વર્ષીય નૂરજહાં આજે પણ પોતાના 6 વર્ષના દીકરા સાથે લાકડાં વીણતા ફાળ ફાળ જુએ છે. કાશ્મીરમાં અત્યારે 'ચિલ્લઈ કલાન' (પીક વિન્ટર) ચાલી રહ્યું છે, પણ નૂરજહાં માટે ઠંડી કરતા ડર વધુ કાતિલ છે.
તે કહે છે, "અમને હવે જંગલમાં આગળ જવાની મનાઈ છે. એ દિવસે મેં લોકોને પહાડ પરથી જીવ બચાવીને ભાગતા જોયા હતા, ચીસો પાડતા જોયા હતા. ત્યારથી અહીં માત્ર યુનિફોર્મધારી જવાનો જ દેખાય છે."
લિડર વેલીના પહાડોમાં વસેલા 10 કાચા મકાનોના આ વસાહતમાં જીવન 22 એપ્રિલ પછી થંભી ગયું છે. નૂરજહાંના મતે, ભલે કેલેન્ડરના પાના બદલાય પણ એ બપોરની યાદો ભૂલવી અશક્ય છે.
બૈસરન: પ્રવાસીઓનું મનપસંદ સ્થળ જે હવે જેલ જેવું લાગે છે
બૈસરન પહલગામથી લગભગ 5 કિમી દૂર પહાડોમાં આવેલું છે. હુમલા પહેલા અહીં દરરોજ 5,000 જેટલા ઘોડેસવારો પ્રવાસીઓને લઈ જતા હતા. આ મેદાન તેની ભૌગોલિક સ્થિતિને કારણે પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય હતું. પરંતુ 22 એપ્રિલના હુમલા બાદ સુરક્ષા સમીક્ષાને કારણે આ મેદાનને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ઘોડેસવાર રઉફ વાની 8 મહિના બાદ પહેલીવાર આ રસ્તે ચાલ્યો છે. રઉફ કહે છે, "હુમલા વખતે હું નીચે હતો, પણ જ્યારે ગોળીબારના સમાચાર મળ્યા ત્યારે હું 40 મિનિટમાં ઉપર પહોંચ્યો હતો.
મેં ત્યાં જે જોયું તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. આજે પણ પથ્થરો પર લોહીના ડાઘા દેખાય છે." રઉફ હવે પ્રવાસીઓને અમરનાથ યાત્રા કે ચંદનવાડીના રસ્તે લઈ જાય છે, પણ બૈસરન જવાની તેની હિંમત ચાલતી નથી.
બજારમાં મંદી અને 'નવા વર્ષ' ની આશા
પહલગામના બજારમાં પણ આ હુમલાની અસર સ્પષ્ટ દેખાય છે.બજારમાં 80% નો ઘટાડો અને નવી આશા પહલગામના મુખ્ય બજારમાં પણ આ હુમલાની અસર સ્પષ્ટ દેખાય છે.
65 વર્ષીય મોહમ્મદ અયુબ, જેઓ 45 વર્ષથી હેન્ડીક્રાફ્ટની દુકાન ચલાવે છે, જણાવે છે કે આ ક્રિસમસ અને નવા વર્ષે બિઝનેસ અત્યંત ખરાબ રહ્યો છે. પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 80% નો ઘટાડો થયો છે.
અયુબ કહે છે, "કાશ્મીરમાં ખરાબ વર્ષો આવતા રહ્યા છે, પણ હંમેશા એવું મનાતું હતું કે પ્રવાસીઓને કોઈ નુકસાન નહીં પહોંચાડે. એ વિશ્વાસ આ હુમલાએ તોડી નાખ્યો છે."
પહલગામ હુમલામાં ભોગ બનેલ પીડિતની પત્નીની વ્યથા
જોકે, બજારમાં પહલગામ વિન્ટર ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી છે અને સ્થાનિક વેપારીઓને આશા છે કે 2026 માં સ્થિતિ સુધરશે.
ખૂણેખૂણે ફેલાયેલો ડર
બૈસરનના રસ્તે લાગેલા 'વેલકમ ટુ બૈસરન એડવેન્ચર ટ્રેક'ના બોર્ડ આજે તૂટીને નીચે પડ્યા છે. વહીવટીતંત્રે તમામ સાઇનેજ હટાવી દીધા છે જેથી કોઈ પ્રવાસી ભૂલથી પણ એ તરફ ન જાય.
પહલગામ હુમલા બાદ ભારતે કેવી રીતે તોડી પાકિસ્તાનની કમર, A to Z માહિતી
શાલ વેચનારા 29 વર્ષીય મોહમ્મદ યાવર કહે છે, "હુમલા વખતે હું ત્યાં જ હતો. મેં મારી શાલની બેગ ત્યાં જ ફેંકી અને જીવ બચાવવા નીચે ભાગ્યો હતો. આજે પહલગામ ખાલી છે, પણ અમારે રોજ દુકાન ખોલવી પડે છે."
શું પહલગામ ફરી બેઠું થશે?
કાશ્મીરનો ઈતિહાસ રહ્યો છે કે તે ગમે તેવા ઘા પછી ફરી બેઠું થાય છે. બૈસરનના મેદાનમાં ભલે આજે બંદૂકોનો પડઘો સંભળાતો હોય, પણ સ્થાનિક લોકોની આંખોમાં આશા છે કે 2026 નું નવું વર્ષ ફરીથી એ જ હાસ્ય અને એ જ પ્રવાસીઓને પાછા લાવશે. જેમ અયુબ કહે છે, "વખત ગમે તેવો હોય, પણ અંતે તો બધું જ સુધરી જાય છે." નવા વર્ષના સૂર્યોદય સાથે પહલગામ ફરી બેઠું થવાની રાહ જોઈ રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us