જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ઓછામાં ઓછા 26 લોકોના મોત નિપજ્યાના એક દિવસ પછી, યુપીએ સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી રહેલા પી ચિદમ્બરમે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે આ હુમલા અને સરકારના આગળના માર્ગ વિશે વાત કરી. જેમાં તેમણે આતંકી હુમલાની ઘટનાને વખોડી અને સરકાર સૌથી અસરકારક પગલાં ભરે એ મુદ્દે ભાર મુક્યો. આ કાર્યવાહી કોંગ્રેસ ટેકો આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પી ચિદમ્બરમ સાથેની મુલાકાતના સવાલ જવાબ જાણીએ.
ગૃહમંત્રી તરીકે, તમે અનેક આંતરિક સુરક્ષા કટોકટીઓનો સામનો કર્યો. તમને શું લાગે છે કે સરકારે હવે શું કરવું જોઈએ?
નિઃશંકપણે, પ્રથમ બાબત એ છે કે આતંકવાદીઓ માટે મોટા પાયે શોધખોળ શરૂ કરવી અને તેમને પકડવા. બીજું, આ સ્થાનિક ગુપ્તચર સ્ત્રોતોની નિષ્ફળતાનો કેસ લાગે છે, સરકારે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને માહિતી પૂરી પાડવા માટે સ્થાનિક સ્ત્રોતોની તૈયારીની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઈએ. સ્થાનિક માહિતી/ગુપ્તચરના અભાવે આટલા વિશાળ દેશ કે સંવેદનશીલ રાજ્યનું પોલીસિંગ કરવું મુશ્કેલ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ હુમલાને ભારતીય રાજ્ય પર સીધો હુમલો ગણાવ્યો છે અને યોગ્ય જવાબ આપવાની માંગ કરી છે. તમારા મતે શું કરી શકાય?
સરકારે પોતાના વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનું અને સૌથી અસરકારક વિકલ્પ પસંદ કરવાનું છે. કોંગ્રેસ સરકારના નિર્ણયને ટેકો આપશે.
કોંગ્રેસે સરકારને આ હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવા જણાવ્યું છે. જો બેઠક બોલાવવામાં આવે તો પાર્ટી શું સૂચન કરવાની યોજના ધરાવે છે?
કોંગ્રેસ પ્રમુખ (ખડગે) એ કહ્યું કે પહેલગામ હુમલા અંગેની બધી માહિતી અને તથ્યો એકત્રિત થયા પછી સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. એકત્રિત કરાયેલા તથ્યો અને માહિતીના આધારે કોંગ્રેસ પોતાના મંતવ્યો રજૂ કરશે.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મંગળવારે આતંકવાદ સામે વ્યાપક સામાજિક સર્વસંમતિ બનાવવાની જરૂરિયાત પર વાત કરી હતી. શું તમને લાગે છે કે આતંકવાદ પર આંતરિક સ્થાનિક સર્વસંમતિનો અભાવ છે?
આતંકવાદ સામે લડવા અંગે ખૂબ જ વ્યાપક સર્વસંમતિ છે. જોકે, થોડા લોકો એવા હોઈ શકે છે જે હિંસક કૃત્યોને સમર્થન આપે છે. જો હિંસાને માફ કરવામાં આવે તો, આતંકવાદી કૃત્યો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનશે . આપણે દરેક જગ્યાએ આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવો જોઈએ.
કોંગ્રેસ વારંવાર માંગ કરી રહી છે કે કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપે. શું તમને લાગે છે કે રાજ્યનો દરજ્જો પાછો મેળવવાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા સ્થિતિ સ્થિર થશે?
રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ એક અલગ મુદ્દો છે પણ તે એકદમ જરૂરી છે. તેને પુનઃસ્થાપિત ન કરવાથી રોષ પેદા થાય છે. જોકે, તેનો આતંકવાદી ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. જો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થાય છે, તો પ્રથમ જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને તે આતંકવાદીઓ સામે લડવામાં મદદ કરી શકે છે.