/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/pakistan-train-hijack.jpg)
Pakistan Train Hijacked: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને મંગળવારે બલૂચ વિદ્રોહીઓએ હાઇજેક કરી લીધી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
Pakistan Train Hijacked: પાકિસ્તાની સેનાનો દાવો છે કે બલૂચ લિબરેશન આર્મી (BLA)ની પકડમાંથી તમામ બંધકોને મુક્ત કરાવીને બચાવ કામગીરી પૂરી કરી લેવામાં આવી છે. જોકે બીજી તરફ બીએલએ એ કહ્યું છે કે 150થી વધુ લોકો હજુ પણ તેમના બંધકમાં છે. પરંતુ આ દરમિયાન જાણવા મળ્યું છે કે બોલાનની પહાડીઓ પર 100થી વધુ લાશ પડી છે.
સ્થાનિક અહેવાલો અનુસાર પાકિસ્તાન આર્મીના ઓપરેશન દરમિયાન બોલાનની પહાડીઓમાંથી મોટી સંખ્યામાં બંધકોના વિકૃત શબ મળી આવ્યા છે. મોટાભાગના મૃતદેહો રજા પર રહેલા સૈનિકોના હતા. સ્થાનિક અને લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે બોલાનના પર્વતોમાંથી 100થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. આ દરમિયાન મૃતકોની કુલ સંખ્યા હજુ પણ એક રહસ્ય જ છે.
બોલાન ન્યૂઝના અહેવાલ મુજબ પ્રાદેશિક સૂત્રોએ પુષ્ટિ આપી છે કે બીએલએ હજી પણ પાકિસ્તાન આર્મીના ઘણા જવાનોને બંધક બનાવી રાખ્યા છે.
પાકિસ્તાની સેનાની પોલ ખુલી
બીજી તરફ પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં હાઇજેક થયેલી જાફર એક્સપ્રેસ ટ્રેનમાંથી તમામ બંધકોને બચાવી લીધા હોવાનો દાવો કર્યો છે. સેનાએ દાવો કર્યો છે કે બંધકોને છોડાવવા માટે તેમનું રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ બીએલએનો દાવો આર્મીના દાવાથી તદ્દન અલગ છે. આ દરમિયાન એક પંજાબી સૈનિકે સેનાની પોલ ખોલી દીધી છે.
આ દરમિયાન જાફર એક્સપ્રેસ ટ્રેનમાં બંધક બનાવવામાં આવેલા એક પ્રત્યક્ષદર્શી પંજાબી ફૌજીએ કહ્યું છે કે તેણે બલૂચ વિદ્રોહીઓના હત્યાકાંડને પોતાની આંખોથી જોયો હતો. તેણે કહ્યું કે મેં પોતે બીએલએના લડવૈયાઓ દ્વારા 50 થી 60 પાકિસ્તાની સૈનિકોને મારી નાખતા જોયા છે. આ પ્રત્યક્ષદર્શીના નિવેદન બાદ પાકિસ્તાનના જુઠ્ઠાણાના દાવાનો પર્દાફાશ થઇ રહ્યો છે.
ધ બોલાન ન્યૂઝે સોશિયલ મીડિયા પર પ્રત્યક્ષદર્શીઓના વીડિયો શેર કર્યા છે. એક વીડિયોમાં પીડિત પ્રત્યક્ષદર્શીએ જણાવી રહ્યો છે કે બીએલએના લડાકોએ તેની સામે જ 50થી 60 લોકોને મારી નાખ્યા હતા.
પાકિસ્તાન આર્મીના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં બંધકોને બચાવ્યા છે. બીએલએની પકડમાંથી 212 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 21 બંધકોના મોત થયો છે અને તમામ 33 વિદ્રોહીઓ માર્યા ગયા છે.
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેમના પર સતત હુમલા થઈ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us