PM Modi at BRICS Summit : વડાપ્રધાન મોદીએ બ્રિક્સ સમિટને સંબોધતા કહ્યું કે ભારત બ્રિક્સ હેઠળ સહયોગ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વિવિધતા અને માનવતામાં અમારો વિશ્વાસ જ અમારી તાકાત છે અને આ અમારી આવનારી પેઢીઓના સમૃદ્ધ અને મજબૂત ભવિષ્યને અર્થપૂર્ણ રીતે આકાર આપવામાં મદદ કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને બ્રિક્સના આગામી અધ્યક્ષ તરીકે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે ભારત તેમને સંપૂર્ણ સમર્થન આપશે.
બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીની ખાસ વાતો
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022માં શરૂ થયેલું બ્રિક્સ વેક્સિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તમામ દેશોની સ્વાસ્થ્ય સુરક્ષાને વધારવામાં મદદ કરી રહ્યું છે. અમને ડિજિટલ સ્વાસ્થ્યમાં ભારતના સફળ અનુભવને બ્રિક્સ ભાગીદારો સાથે શેર કરવામાં ખુશી થશે.
પીએમ મોદીએ કહ્યું કે આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યાં દુનિયા યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની વાત થઈ રહી છે અને ટેક્નોલોજીના યુગમાં સાયબર સિક્યુરિટી, ડીપ ફેક, પ્રચાર જેવા નવા પડકારો ઉભા થયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મારું માનવું છે કે બ્રિક્સ, એક વૈવિધ્યસભર અને સર્વસમાવેશક મંચ તરીકે, તમામ મુદ્દાઓ પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે યુદ્ધને નહીં પરંતુ સંવાદ અને ફુટનીતિનું સમર્થન કરીએ છીએ અને જેમ આપણે સાથે મળીને કોવિડ જેવા પડકારને પરાજય આપ્યો છે, તેવી જ રીતે આપણે ભવિષ્યની પેઢીઓ માટે નવા, સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવી તકો ઊભી કરવામાં સંપૂર્ણ સક્ષમ છીએ.
આ પણ વાંચો – યુએઇ ભારતીયોને વીઝા ઓન અરાઇવલ આપશે, દુબઇ જવું વધુ સરળ, જાણો નિયમ
પીએમએ કહ્યું કે આતંકવાદ અને આતંકી ઝેરનો સામનો કરવા માટે આપણે બધાએ એકજૂથ થઈને મજબૂતીથી સહયોગ કરવો પડશે. આવા ગંભીર મુદ્દા પર બેવડા ધોરણોને કોઈ સ્થાન નથી. આપણે આપણા દેશના યુવાનોમાં કટ્ટરપંથ ને રોકવા માટે સક્રિય પગલાં લેવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનના પેન્ડિંગ મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવાનું છે.
આ દરમિયાન પીએમએ કહ્યું કે ભારત બ્રિક્સ પાર્ટનર દેશ તરીકે નવા દેશોનું સ્વાગત કરવા તૈયાર છે. આ અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવા જોઈએ અને બ્રિક્સના સ્થાપક સભ્યોના વિચારોનું સન્માન કરવું જોઈએ. જોહાનિસબર્ગ સમિટમાં આપણે જે માર્ગદર્શક સિદ્ધાંતો, માનક, માનદંડ અને પ્રક્રિયાઓ અપનાવી હતી તેનું તમામ સભ્યો અને ભાગીદારો દેશો દ્વારા પાલન કરવું જોઈએ.