/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/pm-modi-visit-Srinagar.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે (Express file photo)
PM Modi Visit Kashmir : વડાપ્રધાન મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે. ઓગસ્ટ 2019માં કલમ 370ના રદ થયા પછી શ્રીનગરની આ તેમની પ્રથમ મુલાકાત હશે. વડા પ્રધાન બક્ષી સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધન કરશે અને કૃષિ અને પર્યટનને લગતા ઘણા પ્રોજેક્ટ્સની જાહેરાત કરે તેવી સંભાવના છે.
આ રેલીમાં સરકારી અધિકારીઓ, ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો સહિત આશરે બે લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી છેલ્લી વાર ફેબ્રુઆરી 2019માં રાજ્યના ત્રણેય ક્ષેત્રોના પ્રવાસના ભાગરૂપે કાશ્મીર ગયા હતા. એપ્રિલ 2022માં તેમણે જમ્મુમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ પર સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું.
પીએમ મોદી આ યોજનાઓની જાહેરાત કરશે
શ્રીનગરમાં પ્રધાનમંત્રીની જાહેરાતોમાં 5,000 કરોડ રૂપિયાનો સમગ્ર કૃષિ વિકાસ કાર્યક્રમ સામેલ હશે. આ વિશે અધિકારીઓનો દાવો છે કે તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશની કૃષિ અર્થવ્યવસ્થાને વેગ મળશે અને લગભગ 2.5 લાખ ખેડૂતો માટે કૌશલ્ય વિકાસ સુનિશ્ચિત થશે. આ કાર્યક્રમ હેઠળ લગભગ 2000 કિસાન ખિદમત ઘરો પણ સ્થાપિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી દ્વારા સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજનાઓ હેઠળ 140 કરોડ રૂપિયાની 52 પર્યટન સંબંધી પ્રોજેક્ટનો શુભારંભ કરે તેવી પણ શક્યતા છે, જેમાં હઝરતબલ તીર્થનો એકીકૃત વિકાસનો પણ સમાવેશ થાય છે. ભાજપના જમ્મુ-કાશ્મીર એકમના વડા રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે આ રેલીમાં ઓછામાં ઓછા 2 લાખ લોકો ભાગ લે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે આજે કાશ્મીરમાં આપણે જે વિકાસ જોઈ રહ્યા છીએ તે પીએમ મોદીના કારણે છે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં આવીને તેમનું સ્વાગત કરે.
આ પણ વાંચો - પીએમ મોદીએ કહ્યું – મેં ઘણી નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું, મારા ખિસ્સામાં એક પૈસો પણ ન હતો
ચૂંટણી યોજવા માટે સરકાર પર દબાણ
વડા પ્રધાનની આ મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ખીણની પાર્ટીઓ સરકાર પર આગામી લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી યોજવા માટે દબાણ વધારી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 2018 થી ચૂંટાયેલી સરકાર નથી.
પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે પણ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ કથળી હતી, ત્યારે અમારી પાસે એચ ડી દેવગૌડા, આઈ કે ગુજરાલ, મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓ હતા, જેમણે લોકશાહીને પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પહેલી વાર કેન્દ્રમાં એક એવી સરકાર છે જે અહીં ચૂંટણી યોજવા માંગતી નથી.
કલમ 370 નાબૂદ થયા પછીની બાબતો
કલમ 370 નાબૂદ કરવા, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યા પછી કેન્દ્ર અને કાશ્મીરના નેતાઓ વચ્ચે માત્ર એક જ બેઠક થઈ છે. આ બેઠક જૂન 2021માં થઈ હતી, જ્યારે પૂર્વ સીએમ ફારૂક અને ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત 14 અગ્રણી નેતાઓ પીએમને મળ્યા હતા.
ત્યારે પીએમ મોદીએ એ વાત પર જોર આપ્યું હતું કે તેઓ દિલ્હીનું અંતર ઘટાડવા માંગે છે સાથે જ દિલનું અંતર પણ ઓછું કરવા માંગે છે. તેમણે નેતાઓને ખાતરી આપી હતી કે તેમની સરકાર લોકશાહી પ્રક્રિયાને પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે. જોકે વાતચીત આગળ વધી ન હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us