200થી વધુ રેલીઓ, 80 ઇન્ટરવ્યૂ, 75 દિવસ સુધી ચાલેલો પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર ખતમ, આ વખતે શું રહ્યું ખાસ

Lok Sabha election 2024 : પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે શનિવારે યોજાનારી લોકસભા ચૂંટણીઓ માટે પંજાબના હોશિયારપુરમાં તેમના ચૂંટણી પ્રચારની પૂર્ણાહુતિ કરી હતી

Written by Ashish Goyal
May 30, 2024 20:51 IST
200થી વધુ રેલીઓ, 80 ઇન્ટરવ્યૂ, 75 દિવસ સુધી ચાલેલો પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર ખતમ, આ વખતે શું રહ્યું ખાસ
પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે શનિવારે યોજાનારી લોકસભા ચૂંટણીઓ માટે પંજાબના હોશિયારપુરમાં તેમના ચૂંટણી પ્રચારની પૂર્ણાહુતિ કરી (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

PM Modi Lok Sabha Polls Campaign : લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું પ્રચાર અભિયાન 30 મે ને ગુરુવારના રોજ સમાપ્ત થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે શનિવારે યોજાનારી લોકસભા ચૂંટણીઓ માટે પંજાબના હોશિયારપુરમાં તેમના ચૂંટણી પ્રચારની પૂર્ણાહુતિ કરી હતી. ભાજપ તેના ત્રીજા કાર્યકાળ તરફ ધ્યાન આપી રહ્યું છે અને વડા પ્રધાન મોદીએ દેશભરમાં તેમની પાર્ટી માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. લોકસભા ચૂંટણી પ્રચાર ખતમ કર્યા બાદ પીએમ મોદી 30 મેથી 1 જૂન સુધી તમિલનાડુના કન્યાકુમારીનો પ્રવાસ કરવાના છે. જ્યાં તેઓ પ્રસિદ્ધ વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે.

પીએમ મોદી કન્યાકુમારીમાં 30 મે ની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે

વડા પ્રધાન મોદીનું 30 મે ની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમમાં ધ્યાન કરવાનું આયોજન છે. આ તે જ સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદે એક સમયે ધ્યાન કર્યું હતું. તે ભારતનો સૌથી છેલ્લો દક્ષિણ છેડો છે. આ એ જ સ્થળ છે જ્યાં ભારતનો પૂર્વ અને પશ્ચિમનો દરિયાકિનારો મળે છે. અહીં હિંદ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રનું મિલન સ્થળ પણ છે. પીએમ મોદી કન્યાકુમારી જઈને રાષ્ટ્રીય એકતાના સંકેત આપી રહ્યા છે. વડા પ્રધાન ચૂંટણી પ્રચારના અંતમાં આધ્યાત્મિક યાત્રા કરવા માટે જાણીતા છે. આ ક્રમમાં તે 30 મેના રોજ કન્યાકુમારી પહોંચશે અને ત્યાં 1 જૂન સુધી રોકાશે.

2019માં તેમણે કેદારનાથ અને 2014માં શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી. વડા પ્રધાને આ વર્ષે 16 માર્ચે કન્યાકુમારીથી લોકસભાની ચૂંટણી માટે પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કર્યું હતું. વડા પ્રધાને 75 દિવસમાં 200થી વધુ ચૂંટણી પ્રચાર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જેમાં 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તેમની રેલીઓ અને રોડ શો શામેલ છે.

વડાપ્રધાન મોદીએ લોકસભાની ચૂંટણીના સાત તબક્કા માટે વિવિધ મતવિસ્તારોમાં રેલીઓ યોજી હતી. જે મુખ્ય રાજ્યોમાં તેમણે સૌથી વધુ રોડ શો અને રેલીઓ કરી હતી તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઓડિશાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – હેડલાઇન્સમાં રહેવાનો રસ્તો, મીડિયા પ્રસારણ પર પ્રતિબંધ, કન્યાકુમારીમાં પીએમ મોદીના ધ્યાન પર વિપક્ષે ચૂંટણી પંચને કહ્યું

પીએમ મોદીએ વિવિધ મીડિયા સંસ્થાઓને રેકોર્ડ સંખ્યામાં ઇન્ટરવ્યુ પણ આપ્યા હતા અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ધર્મના આધારે અનામત, નાગરિકતા સંશોધન કાયદો (સીએએ), અયોધ્યામાં રામ મંદિર, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષની ટીકા કરી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પોતાની પાર્ટીના પ્રદર્શન વિશે વાત કરી અને કહ્યુ કે પાર્ટી સારા અંતરથી જીતશે.

પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધુ સફળતા મળી રહી છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું હતું કે બંગાળની ચૂંટણીમાં ટીએમસી પાર્ટી અસ્તિત્વની લડાઈ લડી રહી છે. તમે ગત વિધાનસભાની ચૂંટણીમાં જોયું હશે, અમારી પાસે ત્રણ બેઠકો હતી. બંગાળના લોકો અમને ત્રણથી 80 સુધી લઈ ગયા. ગત ચૂંટણીમાં અમને લોકસભામાં ઘણું સમર્થન મળ્યું હતું. આ વખતે ભારતમાં સૌથી સારું પ્રદર્શન કરનારું રાજ્ય પશ્ચિમ બંગાળ બનવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને સૌથી વધુ સફળતા મળી રહી છે.

કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર તેમના કાર્યકાળ દરમિયાન બંધારણમાં સુધારો કરવાનો આરોપ લગાવતા મોદીએ કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવિત છે, ત્યાં સુધી તેઓ કોઈને પણ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે રમવા દેશે નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં વન નેશન, વન ઇલેક્શન પર રિપોર્ટ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિને ખૂબ જ સકારાત્મક અને નવીન સૂચનો મળ્યા છે.

તેમણે કહ્યું હતું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી અમારી કટિબદ્ધતા છે. અમે સંસદમાં પણ તેના વિશે વાત કરી છે. અમે એક કમિટી પણ બનાવી છે. સમિતિએ તેનો અહેવાલ પણ સુપરત કર્યો છે. એટલે દેશમાં અનેક લોકો વન નેશન, વન ઇલેક્શનના સંદર્ભમાં જોડાયેલા છે. ઘણા લોકોએ સમિતિને તેમના સૂચનો આપ્યા છે. સમિતિને ખૂબ જ સકારાત્મક અને નવીન સૂચનો મળ્યા છે અને જો આપણે આ અહેવાલને અમલમાં મૂકવામાં સક્ષમ છીએ, તો દેશને ઘણો ફાયદો થશે.

અંતિમ તબક્કાના મતદાનમાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 57 લોકસભા ક્ષેત્રના મતદારો શનિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકસભાની 543 બેઠકો પર 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. મતગણતરી 4 જૂને થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ