/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Pradeep-Sharma.jpg)
એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માને આજીવન કેદની સજા (ફોટો - એક્સપ્રેસ)
પ્રદિપ શર્માને આજીવન કેદની સજા : બોમ્બે હાઈકોર્ટે મંગળવારે (19 માર્ચ) મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને હત્યાના કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. વર્ષ 2006 માં, શર્માએ છોટા રાજન ગેંગના કથિત સભ્ય રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાનું એન્કાઉન્ટર કર્યું હતું, કોર્ટે એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું અને પોલીસ અધિકારીને હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. કોર્ટે શર્માને "એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ" ગણાયા બાદ, ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
જુલાઈ 2013 માં પ્રદીપ શર્માને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણય સામે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ ગૌરી વી ગોડસેની બનેલી હાઈકોર્ટની બેન્ચે તેના 867 પાનાના ચુકાદામાં કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના આદેશમાં ભૂલ હતી.
ખંડપીઠે કહ્યું કે, લખન ભૈયા સામે 10 કેસ હોવા છતાં, આનાથી આરોપીની હત્યા કરવાનું પોલીસને લાયસન્સ ન મળે. બેન્ચે સ્પષ્ટતા કરી કે, "કાયદાના શાસનને જાળવી રાખવાને બદલે, પોલીસે તેમના પદ અને યુનિફોર્મનો દુરુપયોગ કર્યો અને રામનારાયણની નિર્દયતાથી હત્યા કરી."
લખન ભૈયા એન્કાઉન્ટર કેસ
લખન ભૈયાનું નકલી એન્કાઉન્ટર 11 નવેમ્બર 2006 ના રોજ વર્સોવાના નાના-નાની પાર્ક પાસે થયું હતું. 2009 માં હાઈકોર્ટના આદેશ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે વિશેષ તપાસ ટીમને જાણવા મળ્યું હતું કે, લખન ભૈયાના હરીફે તેને મારવા માટે પોલીસકર્મીઓને પૈસા આપ્યા હતા.
જુલાઈ 2013 માં સેશન્સ કોર્ટે 13 પોલીસકર્મીઓ સહિત 21 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા.
તેમની અપીલમાં, રાજ્ય સરકારે, વિશેષ સરકારી વકીલ રાજીવ ચવ્હાણ અને વકીલ રામ પ્રસાદ ગુપ્તા દ્વારા, લખન ભૈયાના ભાઈએ, હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, એન્કાઉન્ટર નકલી હતું અને આરોપીઓ દ્વારા રેકોર્ડ બનાવટી બનાવવામાં આવ્યા હતા.
કોણ છે પ્રદીપ શર્મા, શું છે તેમનો રેકોર્ડ?
પ્રદીપ શર્મા 1983 બેચના પ્રખ્યાત પોલીસ અધિકારીઓમાં સામેલ છે, જેમાં વિજય સાલસ્કર, પ્રફુલ્લ ભોસલે, રવિન્દ્ર આંગ્રે અને વિનાયક સોધેનો સમાવેશ થાય છે. આ પોલીસકર્મીઓ મુંબઈના અંડરવર્લ્ડ પરના તેમના ક્રેકડાઉન માટે જાણીતા હતા, જેનું નેતૃત્વ દાઉદ ઈબ્રાહિમ કાસકર, છોટા રાજન, અરુણ ગવલી, અમર નાઈક અને અન્ય લોકો કરતા હતા.
પ્રદીશ શર્માએ તેમની 25 વર્ષની સેવામાં 112 એન્કાઉન્ટર કર્યા. 1999 માં શર્માએ તેમની ટીમના સભ્યો સાથે મળીને છોટા રાજનના સહયોગી વિનોદ માટકરની હત્યા કરી હતી. પાકિસ્તાનમાં છુપાયેલા ઈબ્રાહીમને ખતમ કરવા માટે છોટા રાજને માટકરની પસંદગી કરી હતી. તે જ વર્ષે પોલીસે ડી-કંપની ગેંગસ્ટર સાદિક કાલિયાને દાદર, મુંબઈમાં મારી નાખ્યો હતો.
2003 માં, શર્મા અને તેમની ટીમે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓને મારી નાખ્યા હતા. તેમાંથી બે અબુ સુલતાન અને અબુ અનવર પાકિસ્તાની નાગરિક હતા.
શર્મા વિવાદો સાથે લાંબો ઇતિહાસ ધરાવે છે, તેમને ઓગસ્ટ 2008 માં અંડરવર્લ્ડ સાથેના કથિત સંબંધો બદલ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જો કે, મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના આદેશને પગલે મે 2009 માં તેમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.
આ પછી, 2010 માં, લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં શર્માની ધરપકડ કરવામાં આવી હતી, ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હતા, ત્યારબાદ 2013 માં સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો - બદાયુ ડબલ મર્ડર : સાજીદના પિતા અને કાકાની અટકાયત, ફરાર જાવેદની શોધમાં અનેક જગ્યા પર પોલીસના દરોડા
2017 માં, શર્માને પોલીસ દળમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને થાણે પોલીસના ખંડણી વિરોધી સેલના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. શર્માએ જુલાઈ 2019 માં શિવસેનામાં જોડાવા માટે રાજીનામું આપ્યું હતું. પ્રદીમ શર્માએ શિવસેનાની ટિકિટ પર મુંબઈના નાલાસોપારાથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us