IAS Puja Khedkar : મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર પૂજા ખેડકરની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે તાલીમાર્થી ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પૂજા ખેડકરને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરીમાં પાછા ફરવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ નીતિન ગદ્રે દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ એલબીએસ નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન મસૂરીએ પૂજા ખેડકરના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમને હોલ્ડ પર રાખવાનો નિર્ણય લીધો છે અને આગળની જરૂરી કાર્યવાહી માટે તેમને તરત જ પાછા બોલાવ્યા છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તમને આથી મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તમને વહેલામાં વહેલી તકે એકેડમીમાં જોડાવાની સૂચના આપવામાં આવે છે.
અગાઉ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું
પૂજા ખેડકરના વ્યવહાર પર વિવાદ પછી તેની વિકલાંગતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે તેની પૂણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. અહમદનગર જિલ્લા હોસ્પિટલના મેડિકલ બોર્ડે પૂજા ખેડકરને અનુક્રમે 2018માં વિઝ્યુઅલ ડિસેબિલિટી સર્ટિફિકેટ અને 2021માં મેન્ટલ ડિસેબિલિટી સર્ટિફિકેટ જારી કર્યું હતું.
આ પણ વાંચો – શરદ પવાર અને છગન ભુજબળ વચ્ચે દોઢ કલાક વાતચીત, એક કાંકરે બે નિશાન સાધી ગયા મહારાષ્ટ્રના મંત્રી
પૂજા ખેડકર આ કારણોથી ચર્ચામાં આવી હતી
પૂજા ખેડકર એક અલગ કાર્યાલય, ઓફિશિયલ કાર અને પોતાની ખાનગી કાર પર બત્તીના અનધિકૃત કથિત માગણીઓને કારણે ચર્ચામાં આવી હતી. તે આ બધી સુવિધાઓ માટે હકદાર ન હતી. કેન્દ્રએ તેના વ્યવહારની તપાસ માટે એક વ્યક્તિની સમિતિની રચના કરી હતી. સમિતિ બે અઠવાડિયામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
પૂજા ખેડકરને એક સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જેમાં બંને આંખોમાં ઓછી દૃષ્ટિ (40 ટકા વિકલાંગતા), માનસિક બીમારી અને બ્રેન ડિપ્રેશન (20 ટકા વિકલાંગતા) દર્શાવવામાં આવ્યું હતું.