Ram Navami 2024, Ram Lalla Surya Tilak, રામનવમી : આજે રામનવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના મસ્તક પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ આસામના નલબાડીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ હેલિકોપ્ટરમાં પોતાના ટેબ્લેટ પર સૂર્ય તિલક નિહાળ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવવિભોર જોવા મળ્યા હતા. તેમણે પોતાના બુટ કાઢી નાખ્યા હતા અને એક હાથ છાતી પર રાખ્યો હતો અને રામલલાની આરાધનામાં લીન જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે નલબાડીની સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકના અદભૂત અને અપ્રતિમ ક્ષણને જોવાનું સૌભાગ્ય મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ સૌના માટે પરમાનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઊર્જાથી એ જ રીતે પ્રકાશિત કરશે.
કરોડો ભારતીયોની જેમ મારા માટે પણ ખૂબ જ ભાવુક ક્ષણ છે – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ આગળ લખ્યું કે કરોડો ભારતીયોની જેમ મારા માટે પણ ખૂબ જ ભાવુક ક્ષણ છે. અયોધ્યામાં ભવ્ય રામનવમી ઐતિહાસિક છે. આ સૂર્ય તિલક આપણા જીવનમાં ઉર્જા લાવે અને આપણા દેશને ગૌરવની નવી ઊંચાઈઓ મેળવવા માટે પ્રેરિત કરે.
રામનવમી નિમિત્તે બુધવારે અયોધ્યામાં દર્પણ અને લેન્સવાળી એક વિસ્તૃત વ્યવસ્થા દ્વારા રામ લલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ યંત્રના માધ્યમથી સૂર્યનાં કિરણો રામની મૂર્તિના મસ્તક સુધી પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરેલા નવા મંદિરમાં રામ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પછીની આ પહેલી રામ નવમી છે.
ભગવાન રામ 500 વર્ષ પછી પોતાના ઘરે જન્મદિવસ ઉજવી રહ્યા છે: પીએમ મોદી
નલબાડીમાં એક જનસભામાં પીએમ મોદીએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે જો ભગવાન શ્રી રામના સૂર્યને તિલક થઈ રહ્યુ છે તો તે આપણા મોબાઈલની રોશની મોકલી રહ્યા છીએ. સ્ટેજ પર હાજર રહેલા આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ પણ પોતાના મોબાઈલ ફોનની ફ્લેશલાઈટ ચાલુ કરી દીધી હતી. પીએમ મોદીએ આગળ કહ્યું કે આવો સમય 500 વર્ષ પછી આવ્યો છે જ્યારે ભગવાન રામ પોતાના ઘરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.