Rohtak ASI Sandeep Kumar suicide : હરિયાણાના આઈપીએસ અધિકારી વાય પૂરન કુમારની આત્મહત્યાની તપાસ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રોહતકના અન્ય એક પોલીસ અધિકારીએ આત્મહત્યા કરી છે અને 3 પાનાની સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં એએસઆઈએ દિવંગત પૂરણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકની ઓળખ સંદીપ કુમાર તરીકે થઈ છે, જે રોહતક પોલીસના સાયબર સેલમાં તૈનાત હતા.
‘પૂરન કુમાર એક ભ્રષ્ટ પોલીસકર્મી હતા’
રોહતકના સાયબર સેલમાં ASI સંદીપ મૃતક પૂરન કુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે એક સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તે સત્ય માટે પોતાનો જીવ આપી રહ્યા છે. સંદીપ કુમારે આરોપ લગાવ્યો છે કે વાય પૂરન કુમાર એક ભ્રષ્ટ પોલીસકર્મી હતા અને જ્યારે તેમને પોતાના કથિત ભ્રષ્ટાચારના પર્દાફાશ થવાનો ડર લાગ્યો ત્યારે તેમણે આત્મહત્યા કરી હતી.
પોતાના મૃત્યુ પહેલા રેકોર્ડ કરેલા એક વીડિયો સંદેશમાં સંદીપ કુમારે કહ્યું હતું કે વાયએસ પૂરન કુમારની રોહતક રેન્જમાં પોસ્ટિંગ બાદ તેમણે પ્રામાણિક પોલીસ અધિકારીઓને બદલે ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક કરવાનું શરૂ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ લોકોએ ફાઇલો રોકી રાખી, અરજદારોને બોલાવીને તેમને માનસિક ત્રાસ આપ્યા અને પૈસાની માંગ કરી હતી. ટ્રાન્સફરના બદલામાં મહિલા પોલીસકર્મીઓને જાતીય સતામણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી લડશે
સંદીપ કુમારે આરોપ લગાવ્યો હતો કે પૂરનના ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઊંડા છે. તેમની વિરુદ્ધ ફરિયાદના ડરથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પોતાના છેલ્લા વીડિયોમાં એએસઆઈ સંદીપે રોહતકના પૂર્વ એસપી નરેન્દ્ર બિજારનિયાનું સમર્થન કર્યું છે. વીડિયોમાં સંદીપે કહ્યું કે નરેન્દ્ર બિજારનિયા એક પ્રામાણિક પોલીસ અધિકારી છે.
રાહુલ ગાંધી પૂરણ કુમારની પત્ની અને પુત્રીઓને મળ્યા
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પૂરન કુમારની પત્ની અને પુત્રીઓને મળ્યાના થોડા કલાકો પછી આ ઘટના બની હતી. આઈપીએસ અધિકારી પૂરને ગત મંગળવારે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને કથિત રીતે આત્મહત્યા કરી હતી. તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં 16 વરિષ્ઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના નામ લીધા હતા. તેમના પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને આ પગલું ભરવાના તેમના નિર્ણય માટે સીધો દોષી ઠેરવ્યા હતા.