Putin to Visit India on Dec 4–5 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતના પ્રવાસે આવશે. રશિયાના રાષ્ટ્રપતિના કાર્યાલય ક્રેમલિન તરફથી શુક્રવારે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુતિન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની રાજકીય યાત્રા પર જશે. ક્રેમલિનના એક નિવેદન મુજબ બંને નેતાઓ વેપાર કરારો પર હસ્તાક્ષર કરશે અને રશિયા-ભારત સંબંધોના તમામ પાસાઓ પર તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ વાતચીત કરાશે.
આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ
આ પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ફેબ્રુઆરી 2022 યુક્રેન પર મોસ્કોના આક્રમણ બાદ ડિસ્કાઉન્ટ ભાવે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. ઓગસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી મોટાભાગની ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો, તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયાના યુદ્ધ પ્રયાસોને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.
પુતિનના ભારતના પ્રવાસ અંગે મોસ્કોએ શું કહ્યું
રશિયન સરકારી ટીવી પર ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવના હવાલાથી મહત્વની જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત ઘણી ભવ્ય અને અર્થપૂર્ણ હશે.
આ પણ વાંચો – પાખંડી ઉપદેશ આપવાને બદલે પાકિસ્તાને પોતાની હરકતો સુધારવી જોઈએ
યુરી ઉશાકોવે કહ્યું કે અમે અને ભારતીય પક્ષ આ મુલાકાત માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યા છીએ. અમને આશા છે કે તે દરેક રીતે ફળદાયી રહેશે. આ એક ખૂબ જ ભવ્ય યાત્રા હશે, કારણ કે તેને રાજકીય યાત્રા પણ કહેવામાં આવી રહી છે. આ મુલાકાત ભારતીય વડા પ્રધાન અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બાબતો અને વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે વાર્ષિક ધોરણે મળવાના કરારને અમલમાં મૂકવાની તક પૂરી પાડે છે.
ગયા સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરનું સ્વાગત કરતી વખતે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે પુતિનની નવી દિલ્હી યાત્રા ત્રણ અઠવાડિયામાં થશે.





