S Jaishankar on Rahul Gandhi : લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે આ સમય દરમિયાન ભારતમાં પ્રોડક્શનમાં કમીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેથી જ આપણે અમારા પીએમને બોલાવવાનું આમંત્રણ લેવા અમેરિકા જઈએ છીએ.
કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદોએ સંસદમાં રાહુલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યા હતો.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે અમેરિકામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલના તમામ આરોપો પર પલટવાર કરતા કહ્યું કે રાહુલ તેમની મુલાકાતને લઇને ખોટું બોલ્યા છે. એસ જયશંકરે કહ્યું કે રાહુલ પોતાના નિવેદનો દ્વારા દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
એસ જયશંકરનો રાહુલ પર પ્રહાર
વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધીના નિવેદનના જવાબમાં એક્સ પર એક પોસ્ટ લખી અને કહ્યું કે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2024માં મારી અમેરિકા યાત્રા વિશે જાણી જોઈને ખોટું બોલ્યું છે. હું બાઇડન પ્રશાસનના વિદેશ મંત્રી અને એનએસએને મળવા ગયો હતો. સાથે જ આપણા કોન્સ્યુલ જનરલની એક બેઠકની અધ્યક્ષતા પણ કરવાની હતી. મારા પ્રવાસ દરમિયાન નવા નિયુક્ત એનએસએ મારી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો – અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદી, ભારત માટે ચિંતાજનક
રાહુલ ગાંધીના આરોપો પર એસ જયશંકરે કહ્યુ કે કોઇપણ સ્તર પર પીએમના સંબંધમાં આમંત્રણ પર ચર્ચા થઈ નથી. તે સામાન્ય જ્ઞાન છે કે આપણા વડા પ્રધાન આવા કાર્યક્રમોમાં ભાગ લેતા નથી. ભારતનું પ્રતિનિધિત્વ સામાન્ય રીતે વિશેષ દૂતો દ્વારા કરવામાં આવે છે.
વિદેશ મંત્રીએ રાહુલ ગાંધી પર આ પ્રકારની ટિપ્પણી દ્વારા વિદેશમાં ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના જુઠ્ઠાણાનો ઉદ્દેશ્ય રાજકીય હોઈ શકે છે, પરંતુ તે વિદેશમાં દેશને નુકસાન પહોંચાડે છે.
ભાજપના સાંસદોએ પણ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના આ નિવેદન પર લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી દલીલ થઈ હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂના નેતૃત્વમાં ભાજપના સાંસદોએ રાહુલની આ ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે રાહુલ દેશની વિદેશ નીતિ સાથે સંકળાયેલા આવા પાયાવિહોણા નિવેદનો ન આપી શકે.
ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ રાહુલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. કિરણ રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધીએ કેટલાક નક્કર પુરાવા રજૂ કરવા જોઈએ.