/indian-express-gujarati/media/media_files/2026/01/22/sajjan-kumar-2026-01-22-11-30-21.jpg)
Sajjan Kumar: કોંગ્રેસ નેતા સજ્જન કુમાર શીખ વિરોધી રમખાણ કેસમાં નિર્દોષ જાહેર Photograph: (Social)
Sajjan Kumar News: કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જનકપુરી અને વિકાસપુરી વિસ્તારોમાં ટોળાની હિંસા ભડકાવવાનો આરોપ મૂકતા કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યો છે. વિશેષ ન્યાયાધીશ દિગ્વિજય સિંહે આ ચુકાદો સંભળાવ્યો છે.
કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બર માસમાં આ કેસમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ કરી હતી અને ચુકાદો 22 જાન્યુઆરી માટે અનામત રાખ્યો હતો, જેમાં આજે ચૂકાદો અપાયો છે. કોર્ટના આદેશ બાદ ન્યાય માટે લડતી પીડિત પરિવારની મહિલા સભ્ય ચુકાદો સાંભળીને રડી પડી હતી. પીડિત પરિવારે વ્યથા ઠાલવી હતી કે, અમને ન્યાય કેમ નથી મળતો? કોર્ટે તેને શા માટે નિર્દોષ જાહેર કર્યો? આ રમખાણમાં 11 લોકો માર્યા ગયા હતા.
ન્યાય માટે સુપ્રીમ કોર્ટ જઇશું - પીડિત પરિવાર
પીડિતાના પરિવારની અન્ય એક મહિલા સભ્યએ સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે જવાની વાત કરતાં કહ્યું કે, મેં મારા પરિવારના 10 સભ્યો ગુમાવ્યા છે. સજ્જન કુમારને ફાંસીની સજા કેમ ન આપવામાં આવી?
આ કેસ ફેબ્રુઆરી 2015માં શરૂ થયો હતો જ્યારે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)એ 1984ના રમખાણો દરમિયાન દિલ્હીના જનકપુરી અને વિકાસપુરીમાં થયેલી હિંસા સંબંધિત ફરિયાદોના આધારે સજ્જન કુમાર વિરુદ્ધ બે અલગ અલગ એફઆઈઆર નોંધી હતી. આમાંની પ્રથમ એફઆઈઆર જનકપુરી વિસ્તારની હતી.
લેટેસ્ટ લીગલ ન્યૂઝ અહીં વાંચો
આ કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સોહન સિંહ અને તેના જમાઈ અવતાર સિંહની હત્યા 1 નવેમ્બર 1984ના રોજ કરવામાં આવી હતી અને તે સમયે સજ્જન કુમાર હિંસા ભડકાવવામાં સામેલ હતા. જોકે, ઉપલબ્ધ પુરાવા અને જુબાનીના આધારે કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યો ન હતા અને નિર્દોષ જાહેર કર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us