Saudi Arabia Pakistan Defence Deal : ભારતમાં સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરારની આપણા પર શું અસર પડશે તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે, શું ભારતને તેનાથી પરેશાન થવું જોઈએ? ડિફેન્સ ડીલમાં કહેવામાં આવ્યું છે કે જો બંને દેશોમાંથી કોઈ એક પર હુમલો થાય છે તો તેને બંને વિરુદ્ધ હુમલો માનવામાં આવશે.
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અબ્દુલ અઝીઝ અલ સાઉદ અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં જ પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શાહબાઝ શરીફની સાથે પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ સાઉદી અરબની મુલાકાતે હતા.
પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે આ સોદો કતારમાં ઇઝરાયલના હુમલાના 8 દિવસ પછી થયો છે. ભારતે કહ્યું છે કે તે અપેક્ષા રાખે છે કે સાઉદી અરબ પરસ્પર હિતો અને સંવેદનશીલતાને ધ્યાનમાં લેશે.
મોટો સવાલ એ છે કે શું ભારતે સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચેના સંરક્ષણ કરારથી ચિંતા કરવી જોઈએ કે નહી? ચાલો તેના વિશે વાત કરીએ.
નાણાકીય સહાય અને સેના સહાય વચ્ચેનો સંબંધ
પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સંબંધો પણ એકબીજાની જરૂરિયાતો પર આધારિત છે. સાઉદી અરબ આર્થિક સહાય પૂરી પાડે છે અને પાકિસ્તાન લશ્કરી સહાય પૂરી પાડે છે. સાઉદી અરબની આગેવાની હેઠળના સૈન્ય પ્રયાસોમાં પાકિસ્તાન મુખ્યત્વે સામેલ છે.
2015થી પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ રાહિલ શરીફ ઇસ્લામિક મિલિટરી કાઉન્ટર ટેરરિઝમ કોએલિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. વર્ષ 2018માં પાકિસ્તાને યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં સાઉદી અરબની મદદ માટે પોતાના સૈનિકો મોકલ્યા હતા.
એક અંદાજ મુજબ સાઉદી અરબમાં 1,200 થી 2,000 પાકિસ્તાની સેનાના જવાનો પહેલેથી જ તૈનાત છે. બદલામાં પાકિસ્તાનને સાઉદી અરબ તરફથી આર્થિક સહાય મળતી રહેશે. પાકિસ્તાનને આશા છે કે જો ભવિષ્યમાં ભારત સાથે ક્યારેય ઘર્ષણ થશે તો સાઉદી અરબ તેને અમુક હદ સુધી સમર્થન આપશે.
પાકિસ્તાનની તુલનામાં સાઉદી અરબ સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી હજી પણ તેના પ્રારંભિક તબક્કામાં છે. ઓગસ્ટ 2025 માં ભારત-સાઉદી અરબ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની સાતમી બેઠકમાં, ભારતે સાઉદી અરબના સશસ્ત્ર દળોને તાલીમ આપવાની ઓફર કરી હતી, જે પાકિસ્તાન ઘણા દાયકાઓથી કરી રહ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને સાઉદી અરબ વચ્ચેની ભાગીદારી વધી છે. જેમ કે બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત અને ચાલુ વર્ષે એપ્રિલમાં સંરક્ષણ મંત્રીસ્તરની સમિતિની સ્થાપના. આ દર્શાવે છે કે બંને વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
સાઉદી અરબની તટસ્થ નીતિ
આનો ફાયદો એ છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થતો ત્યારે સાઉદી અરબને બાજુ પર થઇ ગયું હતું. આ સિવાય કાશ્મીરમાં ચાલી રહેલા ભારતના વિકાસ પ્રોજેક્ટ્સમાં અરબની ભાગીદારી છે. આ વર્ષે મે મહિનામાં જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવ્યા ત્યારે સાઉદી અરબે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી, પરંતુ ઓપરેશન સિંદૂર પર કોઈ નિવેદન બહાર પાડ્યું ન હતું.
સાઉદી અરબ માટે ભારતનું મહત્વ પાકિસ્તાન કરતા વધુ છે અને ભારત સાથેની તેની ભાગીદારી આર્થિક અને વ્યૂહાત્મક મહત્વની છે. સાઉદી અરબના વરિષ્ઠ અધિકારીઓએ પાકિસ્તાન સાથેના સંરક્ષણ કરાર બાદ પણ આ વાત કહી છે.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન સાઉદી અરબે દર્શાવેલા વલણે બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વધારવાનું કામ કર્યું છે. તેથી, એવું કહી શકાય કે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના સંરક્ષણ કરારની દક્ષિણ એશિયાના પરિદ્રશ્ય પર નોંધપાત્ર અસર પડશે.
(બશીર અલી અબ્બાસ કાઉન્સિલ ફોર સ્ટ્રેટેજિક એન્ડ ડિફેન્સ રિસર્ચ, નવી દિલ્હીમાં સિનિયર રિસર્ચ એસોસિએટ છે.) )