Yogi Adityanath : લોકસભા ચૂંટણી 2024 દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ચૂંટણી પ્રચારમાં વારંવાર દાવો કર્યો હતો કે ભાજપ સત્તામાં આવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવી દેશે. જોકે ભાજપે આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. હવે ફરી એક વખત યોગી આદિત્યનાથ ચર્ચાનો વિષય બન્યા છે.
2022માં યુપી વિધાનસભા ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથને સીએમ પદથી હટાવવાની પૂરી તૈયારી હતી. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવે પોતાના પુસ્તક – At The Heart Of Power: The Chief Ministers of Uttar Pradesh માં આ દાવો કર્યો છે.
શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે યુપીમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 9 મહિના જ બાકી રહ્યા હતા. આવી સ્થિતિમાં લખનઉ અને દિલ્હી સ્તરે ભાજપ-આરએસએસના નેતાઓની અનેક તબક્કાની બેઠકો યોજાઇ હતી. એક સમયે સંપૂર્ણપણે નક્કી હતું કે સીએમ યોગીને પદ પરથી હટાવવામાં આવશે.
આ પણ વાંચો – પ્રોટેમ સ્પીકર એટલે શું? જાણો કોણ સંભાળી શકે છે આ પદ, શું હોય છે કામગીરી
યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવે તે પહેલા ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડને એ વાતનો અહેસાસ થઇ ગયો હતો કે જો ચાલુ સરકાર દરમિયાન યોગી આદિત્યનાથને પદ પરથી હટાવી દેવામાં આવે તો પાર્ટીને ઘણું નુકસાન ઉઠાવવું પડશે.
કેશવ પ્રસાદ મૌર્ય અને યોગી આદિત્યનાથના મતભેદ વધી રહ્યા હતા
શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં સીએમ યોગીને હટાવવાના પ્રયાસ પાછળનું કારણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પરંતુ યોગી પર લખેલા 16 પેજમાં તેમણે યોગી સરકાર વિરુદ્ધ જે વાતો થઇ રહી હતી તેની વિગતો ચોક્કસ આપી છે. ઉદાહરણ તરીકે તેમણે લખ્યું કે તે સમયે યોગી આદિત્યનાથના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સાથે મતભેદ વધી રહ્યા હતા.
જોકે સંઘના નેતાઓએ આ મામલે દખલ કરી હતી અને જૂન 2021માં સીએમ અચાનક કેશવ પ્રસાદ મૌર્યને મળવા પહોંચ્યા હતા. આ બેઠકને સંબંધોમાં સુધારા તરીકે જોવામાં આવી હતી.
કેશવ પ્રસાદ મૌર્યને એપ્રિલ 2016માં ઉત્તર પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને 2017માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થઇ ત્યારે તેમનું નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપના ટોચના નેતૃત્વએ કેશવ પ્રસાદ મૌર્યની જગ્યાએ ઉત્તર પ્રદેશની કમાન યોગી આદિત્યનાથને સોંપી હતી. ત્યારથી જ બંને વચ્ચે મતભેદો ઊભા થવા લાગ્યા.