Shashi Tharoor News : કેરળના તિરુવનંતપુરમ લોકસભાના સાંસદ શશિ થરૂરે પાર્ટીની અંદર મતભેદ હોવાની વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરશે. આ સિવાય તેમણે પીએમ મોદી સાથેની વાતચીત પર કહ્યું છે કે ચર્ચા માત્ર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે જોડાયેલા મામલાઓ પર હતી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર છે.
તિરૂવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતા શશિ થરૂરે કહ્યું કે હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, અને હું પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરીશ. હું આજે તેના વિશે વાત કરવા માંગતો નથી. મારે મળીને વાત કરવી છે, સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ.
PM મોદી સાથેની ચર્ચા પર શશિ થરૂરે શું કહ્યું?
પીએમ મોદી સાથે ચર્ચાને લઈને શશિ થરુરે કહ્યું કે વડાપ્રધાન સાથે ચર્ચા માત્ર સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે જોડાયેલી બાબતો પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશની સાથે ઉભા રહેવાની જવાબદારી આપણી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર છે, ત્યારે હું હંમેશા તૈયાર છું.
આ પણ વાંચો – આ 9 દેશ પાસે છે અંદાજે 12,241 પરમાણુ શસ્ત્રો, જાણો ભારત અને પાકિસ્તાન પાસે કેટલા છે?
શશિ થરૂર ભારત સરકારના પ્રતિનિધિમંડળનો ભાગ હતા
ભારત સરકારે ઓપરેશન સિંદૂરની માહિતી વિશ્વના દેશોને આપવા માટે 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કર્યું હતું. તે દરમિયાન થરૂરે અમેરિકા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત એક પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી. તેમની દલીલો બાદ કોલંબિયાએ પાકિસ્તાન તરફી પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું, જેને થરૂરની ફૂટનીતિક જીત તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
થરૂરને લઇને રાજકારણ કેમ ગરમ છે?
શશી થરૂર સહિત તમામ પ્રતિનિધિમંડળના નેતાઓ વિદેશ પ્રવાસ બાદ પરત ફર્યા ત્યારે પીએમ મોદીએ તેમને મળીને તેમના અનુભવો વિશે પૂછ્યું હતું. શશિ થરૂરને લઇને રાજકારણ એટલા માટે પણ ગરમ છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પ્રતિનિધિમંડળ માટે જે નેતાઓના નામ મોકલ્યા હતા તેમાં શશિ થરૂરનું નામ સામેલ ન હતું, આમ છતાં ભારત સરકારે શશિ થરૂરને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા હતા અને તેમને એક પ્રતિનિધિમંડળના મુખ્ય લીડર પણ બનાવ્યા હતા.