Rajya Sabha Election 2024 : રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે સપાના નેતૃત્વએ વિચાર કરવો પડશે કે કાર્યકર્તા મહેનત કરે છે, કાર્યકર્તા પ્રદર્શન કરે છે, કાર્યકર્તા બૂથ પર ઉભો રહે છે, કાર્યકર્તા લાઠી ખાય છે, કાર્યકર્તા જેલમાં જાય છે, કાર્યકર્તાને સજા મળે છે અને કાર્યકર્તા પોતાના જીવનનું બલિદાન આપવાનું કામ કરે છે. જ્યારે કોઈને પદ અને પ્રતિષ્ઠા આપવાની વાત આવે છે, ત્યારે આ સ્ટાર લોકો આવી જાય છે . જેમનું પાર્ટીમાં કોઈ યોગદાન નથી. ઉદાહરણ તરીકે ગત વખતે ત્રણ લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. કપિલ સિબ્બલનું આપણી પાર્ટી પ્રત્યે શું યોગદાન હતું. જયંત ચૌધરી જે છોડીને ચાલી ગયા તેમનું પણ આપણી પાર્ટીમાં શું યોગદાન હતું?
હાલ જે ત્રણ રાજ્યસભાના નામ હવે નક્કી કરવામાં આવ્યા છે. તેમાં લાલજી સુમન એક જૂના સમાજવાદી છે પરંતુ પાર્ટી પ્રત્યે આલોક રંજન જીનું શું યોગદાન છે. જેમને પાંચ વખત રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવી રહ્યા છે, જેમના નામે આખા યુપીમાં 5 વોટ પડતા નથી. હું તેમને ન તો કોઈ પાર્ટીના કાર્યક્રમમાં જોઉં છું, ના તો કોઈ આંદોલનમાં જોઉં છું, ના કોઈ કાર્યકર્યાની મદદ કરતો જોઉં છું. જો આવા લોકોની પસંદગી થશે તો સમાજવાદી પાર્ટીએ નક્કી કરવું જોઈએ કે કાર્યકર્તાની મહેનત પર, કાર્યકર્તાના પરસેવાની કમાણી આ સ્ટારને મજબૂત કરવાના છે. સપાએ આ અંગે નિર્ણય લેવો જોઈએ.
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યસભાની ચૂંટણીમાં જોરદાર ક્રોસ વોટિંગ થયું છે. સપાના લગભગ સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. ક્રોસ વોટિંગ કરનારા સપાના તમામ ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સાથે ફોટોમાં વિક્ટરી સાઈન બતાવતા જોવા મળ્યા હતા. હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને સપા સાંસદ ડિમ્પલ યાદવે ક્રોસ વોટિંગ કરનારાઓ પર પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો – વિક્રમાદિત્ય સિંહ કોણ છે? જેમણે હિમાચલમાં સુખવિંદર સુખુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
મૈનપુરીથી સપા સાંસદ ડિમ્પલ યાદવે પોતાના ઓફિશિયલ એક્સ પર પ્રતિક્રિયા આપી હતી. સપા સાંસદ ડિમ્પલ યાદવે પોતાની પોસ્ટ દ્વારા ચેતવણી આપી હતી કે જે લોકોએ સમાજને અનીતિનો પાઠ ભણાવ્યો છે, એવા લોકો જેમની પાસે કોઈ માન મર્યાદા કે આદર્શો નથી. તેઓ સમયના ચક્રની રાહ જુએ છે અને લોકોના ચુકાદાની રાહ જુએ.
ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે – અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે યુપીની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે વોટ મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. જે લોકો ગયા છે તેમનામાં કદાચ સરકાર સામે ઉભા રહેવાની હિંમત ન પણ હોય. આ સાથે જ અખિલેશ યાદવે કહ્યું છે કે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પાર્ટીના લોકોનુ કહેવુ છે કે આવા લોકોને હટાવવા જોઈએ.