/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/supreme-court-judgement.jpg)
Supreme Court Judgement: સુપ્રીમ કોર્ટ ચુકાદો, પ્રતિકાત્મક તસવીર, (Photo: Freepik)
Supreme Court: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક સીમાચિહ્ન સમાન ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, ઝાડ કાપવા માણસની હત્યા કરતા મોટો ગુનો છે. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા દરેક ઝાડ દીઠ વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ વ્યક્તિએ 454 વૃક્ષો કાપ્યા છે. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે સંરક્ષિત તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં 454 વૃક્ષો કાપી નાખનારા એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ અવલોકન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, "પર્યાવરણના મામલે કોઈ દયા ન દાખવવી જોઈએ. મોટી સંખ્યામાં વૃક્ષોને કાપી નાખવા એ મનુષ્યને મારવા કરતાં વધુ ઘૃણાસ્પદ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે મંજૂરી વિના કાપવામાં આવેલા 454 વૃક્ષોથી જે હરિયાળો વિસ્તાર હતો, તેના જેવું ગ્રીન ક્ષેત્ર ફરીથી બનાવવામાં ઓછામાં ઓછા 100 વર્ષ લાગશે.
સુપ્રીમ કોર્ટે ફટકાર્યો 1 ઝાડ કપાવા દીઠ 1 લાખનો દંડ
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (સીઇસી)ના અહેવાલનો સ્વીકાર કર્યો છે, જેમા શિવશંકર અગ્રવાલ નામની વ્યક્તિ એ મથુરા-વૃંદાવનના દાલમિયા ફાર્મમાં 454 વૃક્ષો કાપ્યા છે. શિવશંકર અગ્રવાલને 1 ઝાડ કાપવા દીઠ 1 લાખ રૂપિયાનો દંડ કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. અગ્રવાલ તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે પરંતુ કોર્ટે દંડ ઘટાડવાનો ઇનકાર કરી દીધો હતો.
વકીલે કહ્યું કે અગ્રવાલને બાજુના સ્થળે વૃક્ષારોપણ કરવાની મંજૂરી આપવી જોઈએ અને તેની સામે દાખલ કરવામાં આવેલી અવમાનનાની અરજીનું પાલન કર્યા પછી જ તેનો નિકાલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તેના 2019ના આદેશને પણ પાછો ખેંચી લીધો હતો, જેમા 'તાજ ટ્રેપેઝિયમ ઝોન' ની અંદર બિન-વન અને ખાનગી જમીન પર વૃક્ષો કાપવાની મંજૂરી લેવાની આવશ્યકતાને દૂર કરી હતી.
લોકસભામાં અલાહાબાદ હાઈકોર્ટના જજની ટિપ્પણીનો મુદ્દો ઉઠ્યો
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ મુકેશ રાજપૂતે બુધવારે લોકસભામાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશના આદેશ સાથે સંબંધિત આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે "ફક્ત યુવતીના પ્રાઇવેટ પાર્ટને પકડવો અને પાયજામાનો નાડો તોડવો એ બળાત્કારનો ગુનો નથી". ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદના લોકસભાના સભ્યએ ગૃહમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારને આ પ્રકારની ટિપ્પણી કરવા બદલ આવા લોકો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, "અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણીથી દેશના 140 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને મહિલાઓ અસહજ અનુભવી રહી છે." આવા લોકોએ દેશની મહિલાઓની માફી માંગવી જોઈએ." સાસંદે સરકારને આવા લોકો સામે બંધારણના દાયરામાં રહીને કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
(ભાષા ઇનપુટ સાથે)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us