Telangana OBC Reservation : તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે રાજ્યના ઓબીસી વર્ગના લોકોને અનામતને લઈને મોટી જાહેરાત કરી છે. હવે નવી જોગવાઈ હેઠળ ઓબીસીને શિક્ષણ, નોકરી અને રાજકીય નેતૃત્વમાં 42 ટકા અનામત મળશે. રાજકીય રીતે આ એક મોટો નિર્ણય માનવામાં આવે છે.
તેલંગાણાના મખ્યમંત્રી રેવંત રેડ્ડીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે તેલંગાણા વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે હું સંપૂર્ણ ગંભીરતા સાથે જાહેર કરું છું કે આપણા લોકોના સૌથી વૈજ્ઞાનિક, સખત અને અથાક પ્રયત્નોના આધારે, આપણે કહી શકીએ છીએ કે તેલંગાણામાં ઓબીસી વસ્તી 56.36 ટકા છે. હવે અમે શિક્ષણ, નોકરીઓ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વ સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં આ જૂથ માટે 42 ટકા અનામત નક્કી કરવાનું વચન આપી રહ્યા છીએ.
‘સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરવાનો ગર્વ છે’
સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાને ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરવામાં ગર્વ છે. મને ગર્વ છે કે ભારતીય સ્વાતંત્ર્યકાળથી પછાત જૂથોની લાંબા સમયથી પડતર માગણી, પછાત જ્ઞાતિઓ સાથે સંકળાયેલાં આપણાં ભાઈઓ અને બહેનોની આધિકારિક જનગણનામાં ગણતરી અને માન્યતા મેળવવાની ઇચ્છા આખરે પરિપૂર્ણ થઈ છે.
રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ઓબીસી અનામત વધારીને 42 ટકા કરવામાં આવશે. સત્તા સંભાળ્યા પછી તરત જ લોકોની સરકાર દ્વારા 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ ઓબીસી જાતિની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી. અગાઉની સરકારે રાજ્યપાલને ઓબીસી અનામત વધારીને 37 ટકા કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. અમારી સરકાર અગાઉનો પ્રસ્તાવ પાછો ખેંચી રહી છે.
મુખ્યમંત્રીએ વિધાનસભામાં સમર્થન માંગ્યું
વિધાનસભામાં તેમણે કહ્યું કે અમારી સરકાર શિક્ષણ, રોજગાર અને રાજકીય તકોમાં ઓબીસી માટે 42 ટકા અનામત માટે એક નવો પ્રસ્તાવ મોકલી રહી છે. ગૃહના નેતા તરીકે, હું ખાતરી આપું છું કે હું સક્રિય પગલાં લઈશ અને 42 ટકા ઓબીસી અનામત મેળવીશ.
સીએમ રેવંત રેડ્ડીએ પોતાના ભાષણમાં તમામ પક્ષોના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ આ મુદ્દે એક સાથે આવે અને વડાપ્રધાનને મળે. ઓબીસી અનામતને 42 ટકા સુધી વધારવા માટે જરૂરી કાયદાકીય મદદ પણ લઈશું, જ્યાં સુધી અમને પછાત જાતિઓ માટે 42 ટકા અનામત નહીં મળે ત્યાં સુધી અમે નિષ્ક્રિય બેસીશું નહીં.