Chhattisgarh Maoists Encounter: છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. જેમાં ઓછામાં ઓછા 27 માઓવાદીઓ માર્યા ગયા છે. જેમાં ટોચના માઓવાદી નેતા નંબાલા કેશવ રાવ, જે બસવ રાજુ તરીકે જાણીતો છે તે પણ માર્યો ગયો છે. આ અથડામણ દરમિયાન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) નો એક જવાન પણ શહીદ થયો છે.
ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ એમ ચાર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર બાદ, બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે અથડામણનો સામનો કરતી વખતે ડીઆરજી ટીમનો એક સભ્ય શહીદ થયો હતો. એન્કાઉન્ટર દરમિયાન કેટલાક અન્ય કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. શોધખોળ કામગીરી ચાલુ છે.
ડીઆરજીને માહિતી મળી હતી કે માઓવાદીઓનો એક મોટો નેતા અબુઝમાડના એક ખાસ વિસ્તારમાં છુપાયો છે. અબુઝમાડનો વિસ્તાર મહારાષ્ટ્રના બીજાપુર, દંતેવાડા, કાંકેર અને ગઢચિરોલી જિલ્લાઓ સુધી ફેલાયેલું છે.
આ પણ વાંચો – ઓપરેશન સિંદૂર પછી ભારત-પાક સીઝફાયર પર કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું – કોઈની તરફથી મધ્યસ્થતા થઇ નથી
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે કહ્યું છે કે નક્સલ વિરોધી અભિયાન ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. આ ઓપરેશન મુખ્યત્વે ડીઆરજી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું. અમે તેમને (માઓવાદીઓને) શરૂઆતથી જ આત્મસમર્પણ કરવાની અપીલ કરી રહ્યા છીએ .તેને વારંવાર પુનરાવર્તિત કરવાની જરૂર નથી.
ગત મહિને એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું
ગત મહિને જ સુરક્ષાદળોએ નક્સલીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન ચલાવ્યું હતું. છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર આવેલા કરેગુટ્ટાલુની પહાડીઓમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને ‘બ્લેક ફોરેસ્ટ’ કોડ નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશનને 21 દિવસ બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે માઓવાદીઓની ટોપ લીડરશિપ અને તેમની સશસ્ત્ર શાખા પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીની ખુંખાર બટાલિયન 1 ને ભારે નુકસાન પહોંચ્યું છે. ઓપરેશન 21 એપ્રિલથી શરૂ થયું હતું.
બીજાપુરની પહાડીઓમાં માઓવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન
હિડમા મડવી સહિત અનેક ટોચના માઓવાદી નેતાઓ અને કમાન્ડરો કારેગુટ્ટાલુની પહાડીઓમાં જોવા મળ્યા હોવાના અનેક એજન્સીઓ પાસેથી સુરક્ષા દળોને ઇનપુટ મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં કુલ 31 માઓવાદી માર્યા ગયા હતા.
આ ઓપરેશન શરૂ થયા પહેલા સીઆરપીએફ, તેલંગાણા અને છત્તીસગઢ પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓની બેઠક મળી હતી. આ સાથે છત્તીસગઢ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સીઆરપીએફ અને તેલંગાણા પોલીસના જવાનો પણ સામેલ થયા હતા. જણાવવામાં આવ્યું હતું કે આ ઓપરેશનમાં લગભગ 7000 સુરક્ષા દળોના જવાનો સામેલ છે.