/indian-express-gujarati/media/media_files/2026/01/20/donald-trump-with-emmanuel-macron-2026-01-20-16-55-11.jpg)
Donald Trump With Emmanuel Macron : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો. Photograph: (Jansatta)
Trump Tariff On France: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રેન્ચ વાઇન અને શેમ્પેઇન પર 200 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત બોર્ડ ઓફ પીસ પહેલમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.
પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સૂચવ્યું હતું કે ટેરિફ મેક્રોનને પોતાનો નિર્ણય બદલવા માટે મજબૂર કરશે. જ્યારે તેમને મેક્રોનના નિવેદનને બોર્ડમાં ન જોડાવા અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે જવાબ આપ્યો: "શું તેમણે આવું કહ્યું? ઠીક છે, કોઈ પણ તેને ઇચ્છતું નથી કારણ કે તે ખૂબ જ જલ્દી ઓફિસની બહાર નીકળી જવાના છે.”
ફ્રેન્ચ વાઇન પર 200 ટકા ટેરિફની ધમકી
ટ્રમ્પે પોતાની ધમકીને પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે ટેરિફ મેક્રોનનું મન બદલી નાખશે, તેમ છતાં બોર્ડમાં જોડાવું ફરજિયાત નથી. "હું તેના વાઇન અને શેમ્પેઇન પર 200% ટેરિફ મૂકીશ અને તે જોડાઇ જશે," તેમણે કહ્યું. જો કે, તેમને સામેલ થવાની જરૂર નથી. ”
જો કે, રોઇટર્સના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના નિવેદનો છતાં, ફ્રાન્સ હાલમાં આ પહેલનો ભાગ બનવાની યોજના બનાવી રહ્યું નથી. રાષ્ટ્રપતિ મેક્રોનની નજીકના એક સૂત્રએ સોમવારે જણાવ્યું હતું કે ફ્રાન્સ હાલ માટે આમંત્રણને નકારી કાઢવાનો ઇરાદો ધરાવે છે. આ સૂત્રે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પની ટિપ્પણી બાદ પણ પેરિસના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
ગાઝા પીસ બોર્ડ પર ભારત વિચારાધીન
આ દરમિયાન, નવી દિલ્હી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા માટે પીસ બોર્ડમાં જોડાવાના આમંત્રણના ફાયદા અને ગેરફાયદાને કાળજીપૂર્વક માપી રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે તાજેતરમાં જ આ મુદ્દે ચર્ચા થઈ હતી, જે સ્પષ્ટ રીતે સંકેત આપે છે કે ભારત આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા ભારત પર 50 ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે. ટ્રમ્પ બોર્ડને "વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવા માટે એક સાહસિક નવી રીત" તરીકે વર્ણવે છે. પરંતુ ભારત સાવચેત છે કે આ પ્રસ્તાવને નકારી કાઢવાથી અન્ય પરિણામો આવી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ભારત માટે એક મોટો સવાલ એ છે કે શું આ શાંતિ બોર્ડ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ની ભૂમિકાને નબળી પાડશે અથવા હાંસિયામાં ધકેલી દેશે. ભારત સંયુક્ત રાષ્ટ્રને શાંતિ અને સંઘર્ષના સમાધાન માટે મુખ્ય વૈશ્વિક મંચ માને છે. તેથી, આ પહેલની અસરો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.
અન્ય દેશોએ કેવી પ્રતિક્રિયા આપી છે?
રશિયાએ પુષ્ટિ કરી છે કે તેને બોર્ડમાં જોડાવાનું આમંત્રણ મળ્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ પ્રસ્તાવની વિગતોનો અભ્યાસ કરી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું કે યુકે તેના સાથી દેશો સાથે આ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યું છે. તો ફ્રાન્સે સંકેત આપ્યો છે કે તે આ પહેલમાં જોડાશે નહીં. જર્મનીએ કહ્યું છે કે તે પહેલા ગાઝા સંઘર્ષના કાયમી ઉકેલમાં શું યોગદાન આપી શકે છે તે જોશે.
રોઇટર્સ દ્વારા જોવામાં આવેલા ડ્રાફ્ટ ચાર્ટર અનુસાર, જે દેશો ત્રણ વર્ષથી વધુ સમય સુધી બોર્ડમાં રહેવા માંગે છે તેઓએ મોટો નાણાકીય યોગદાન આપવું પડશે. દસ્તાવેજમાં જણાવાયું છે કે સભ્યોએ લાંબા ગાળાની સભ્યપદ જાળવવા માટે 1 અબજ ડોલર રોકડ ચૂકવવા પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us