Udaipur Violence: રાજસ્થાનના ઉદયપુરથી એક મોટો મામલો સામે આવ્યો છે. ઉદયપુરની સરકારી શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો એટલો મોટો થઈ ગયો કે પરિસ્થિતિ તંગ બની ગઈ અને પોલીસે કલમ-144 લાગુ કરવી પડી છે. આ વિવાદના કારણે મોલમાં તોડફોડ ઉપરાંત રસ્તા પર પણ જબરદસ્ત હંગામો થયો હતો. લોકોએ ગાડીઓને પણ આગ લગાવી દીધી હતી. આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તણાવપૂર્ણ સ્થિતિને જોતા જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલે કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે.
ઉદયપુરની એક સરકારી શાળાના વિદ્યાર્થીએ આજે સવારે બીજા વિદ્યાર્થીને છરીના ઘા મારીને ઘાયલ કરી દીધો હતો. આ પછી શાળાના શિક્ષકો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને મહારાણા ભૂપાલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રોષે ભરાયેલા હિન્દુ સંગઠનોએ ચેતક સર્કલ, ક્લોક ટાવર, હાથીપોલ, અશ્વિની બજાર અને બાપુ બજારને બંધ કરી દીધા હતા અને ઘણો હોબાળો મચાવ્યો હતો.
આવી સ્થિતિમાં પ્રશાસને મામલાને કાબુમાં લેવા માટે વિસ્તારમાં કલમ-144 લાગૂ કરી દીધી છે. આ સાથે જ પોલીસ અને સુરક્ષાદળોના જવાનો દરેક જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ઉદયપુરમાં રોષે ભરાયેલા લોકોએ બબાલ કરી
આ સાથે જ રોષે ભરાયેલા લોકોએ રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી અને જોરદાર પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ તંગ બની હતી. મહત્વની વાત એ છે કે લોકોએ શોપિંગ મોલને પણ ન છોડ્યો અને ઘણી તોડફોડ કરી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ પોસવાલે જણાવ્યું હતું કે પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે, આ મામલો શું હતો તે હજુ સુધી જાણી શકાયું નથી.
બપોરના લંચ સમયે હંગામો થયો હતો
જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે જે બે વિદ્યાર્થીઓનો ઝઘડો થયો હતો તેઓ એક જ ક્લાસમાં ભણતા હતા અને લંચ બાદ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ એક વિદ્યાર્થીએ ઝઘડા દરમિયાન છરી કાઢી બીજા પર હુમલો કર્યો હતો, જેના કારણે અન્ય વિદ્યાર્થીને ઇજા થઇ હતી. તેને ટીચર્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાલ આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો – 10 વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાશે, જાણો શું-શું થયા ફેરફાર
કલેક્ટરે જણાવ્યું હતું કે હુમલો કરનાર સગીર વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તેની અને તેના પિતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની પરિસ્થિતિ અને લોકોએ મચાવેલી ધમાલના કારણે પોલીસે સાવચેતીના ભાગરૂપે કલમ 144 લાગુ કરી દીધી છે. આ સાથે જ વાતાવરણને કાબુમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
જિલ્લાના સાંસદ ડો.મન્નાલાલ રાવત, ઉદયપુર શહેરના ધારાસભ્ય તારાચંદ જૈન, ગ્રામીણ ધારાસભ્ય ફૂલસિંહ મીણા પણ હોસ્પિટલ પહોંચી ગયા છે.