મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળોની ફાળવણીના આદેશ, ઘટના પર કલકત્તા હાઇકોર્ટની નજર, હિંસામાં ત્રણ લોકોના મોત

Waqf protests : કલકત્તા હાઈકોર્ટે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સંશોધન) અધિનિયમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટા પાયે થયેલી હિંસા બાદ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો

Written by Ashish Goyal
April 12, 2025 22:04 IST
મુર્શિદાબાદમાં કેન્દ્રીય દળોની ફાળવણીના આદેશ, ઘટના પર કલકત્તા હાઇકોર્ટની નજર, હિંસામાં ત્રણ લોકોના મોત
શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સંશોધન) અધિનિયમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટા પાયે હિંસા થઇ હતી (Express Photo)

Waqf protests : કલકત્તા હાઈકોર્ટે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ (સંશોધન) અધિનિયમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટા પાયે થયેલી હિંસા બાદ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કોર્ટની રજાના દિવસે વિશેષ સુનાવણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુવેન્દુ અધિકારીએ કોર્ટના આદેશ પછી કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જંગલની આગની જેમ ફેલાઈ રહેલાં મોટાં પ્રમાણે કોમી રમખાણોને ધ્યાનમાં રાખીને મેં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની જરૂરિયાત માટે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. રાજ્ય સરકારે તેનો સ્વીકાર કર્યો ન હતો. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી મેં તાત્કાલિક સુનાવણી માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

હિંસા મામલે પોલીસે 118 લોકોની ધરપકડ કરી

જસ્ટીસ સૌમેન સેન અને ન્યાયાધીશ રાજા બાસુ ચૌધરીની ડિવિઝન બેંચે આ મામલાની સુનાવણી કરી હતી અને તેમની અરજીને માન્ય રાખી હતી અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળોને તાત્કાલિક તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. હિંસા મામલે પોલીસે 118 લોકોની ધરપકડ કરી છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ચાર રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતી વખતે પંદર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

શનિવારે સવારે શમશેરગંજમાં ફરી હિંસા ભડકી ઉઠી

શનિવારે સવારે શમશેરગંજમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી પરંતુ તેને તરત જ કાબૂમાં લેવામાં આવી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને બીએસએફની મોટી ટુકડી તૈનાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારે જણાવ્યું હતું કે અમે ગુંડાગીરી સહન નહીં કરીએ. અમે તેની સાથે ખૂબ જ કડકાઈથી વ્યવહાર કરીશું. પોલીસ ઓછામાં ઓછા બળનો ઉપયોગ કરે છે. પરંતુ હું તે સ્પષ્ટ કરવા માંગુ છું. આપણે ગમે તે કરવાનું હોય, અમે પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરીશું.

રાજીવ કુમારે કહ્યું કે તેની શરૂઆત વિરોધ પ્રદર્શનથી થઈ હતી પછી જાહેર સંપત્તિને નુકસાન થયું હતું અને પછી તેણે સાંપ્રદાયિક રંગ લીધો હતો. ગઈકાલે રાત્રે અમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી હતી. સવારે ફરી હિંસા ફાટી નીકળી અને અમે ફરીથી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. અમે કાર્યવાહી કરવામાં સંકોચ કરતા નથી. જો ઉપદ્રવીઓ કાયદો હાથમાં લેશે તો અમે ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરીશું. અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું દરેકને અપીલ કરું છું કે અફવાઓ ન ફેલાવો.

આ પણ વાંચો – તમિલનાડુ માટે ભાજપનો ફ્યૂચર પ્લાન, અમિત શાહે AIADMK સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી

એડીજી (કાનૂન વ્યવસ્થા) જાવેદ શમીમે પુષ્ટિ કરી હતી કે ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે શુક્રવારે સાંજે ગોળીબાર કરવો પડ્યો હતો. સુતી પોલીસ સ્ટેશન હેઠળના સુજારમોર ક્રોસિંગ પર શરૂ થઈ હતી કારણ કે દેખાવકારોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 ને અવરોધિત કર્યો હતો. અમે નિયમો અને અમારી કવાયતનું પાલન કરવાનો પ્રયાસ કર્યો. અમે લાઠીચાર્જ કર્યો અને આંસુગેસના શેલ છોડ્યા હતા. પરંતુ ટોળાએ તોડફોડ શરૂ કરી હતી અને જાહેર સંપત્તિ અને જાહેર બસોને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો. અમારે ગોળીબાર કરવો પડ્યો. ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.

એડીજીએ જણાવ્યું હતું કે 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમાંથી કેટલાકની હાલત ખૂબ જ નાજુક હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુર્શિદાબાદના ઘણા વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ ચાલુ છે. આ દરમિયાન શુક્રવારે ટીએમસીના ધારાસભ્ય મનીરુલ ઇસ્લામના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને ટોળાએ તેમને ઘેરી લીધા હતા. તેમણે કહ્યું કે ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને મારા ઘરમાં તોડફોડ કરી હતી. હું ઘરે ન હતો. હું વિરોધીઓ સાથે વાત કરવા ગયો હતો અને તેઓએ મને ઘેરી લીધો હતો. ટીએમસીના સ્થાનિક સાંસદ ખલીલુર રહેમાનની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. વિરોધીઓ રેલ્વે ટ્રેક પર બેસી જતા ટ્રેન સેવાઓને અસર થઈ હતી.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રના વકફ (સુધારા) અધિનિયમ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન સપ્તાહના અંતે હિંસા ફાટી નીકળતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેના પગલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં આ કાયદાનો અમલ કરવામાં આવશે નહીં.

તાજેતરમાં લાગુ કરવામાં આવેલા વકફ (સુધારા) અધિનિયમ, 2025 એ ભારતભરમાં વિરોધ અને કાનૂની ટકરાવનું લહેર છે. રાજકીય પક્ષો, ધાર્મિક સંગઠનો અને નાગરિક સમાજ જૂથોએ લઘુમતી અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે કેન્દ્રએ આ કાયદાને ઐતિહાસિક સુધારા તરીકે ગણાવ્યો છે.

મમતાએ કાયદાનો અમલ કરવાનો ઇનકાર કર્યો, કેન્દ્ર પર આરોપ લગાવ્યો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુમતીવાળા જિલ્લાઓમાં વધી રહેલી હિંસા વચ્ચે તેમની સરકાર રાજ્યમાં વકફ (સુધારા) અધિનિયમ લાગુ નહીં કરે. મમતાએ એક્સ પરની પોસ્ટમાં પૂછ્યું હતું કે અમે આ કાયદો બનાવ્યો નથી. કેન્દ્ર દ્વારા લાવવામાં આવ્યો છે. તો પછી હુલ્લડ શેના માટે છે?

મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોઈ પણ હિંસક પ્રવૃત્તિને ટેકો આપતા નથી. તમામ ધર્મોને મારી અપીલ છે કે શાંત અને સંયમિત રહો. ઉશ્કેરણીને વશ ન થાઓ. તેમણે કેટલાક રાજકીય પક્ષો પર રાજકીય લાભ માટે ધર્મનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ