Wayanad Landslide : કેરળના વાયનાડમાં આવેલા આફતમાં ભારે નુકસાન બાદ હવે લોકોની સામે મોટો સવાલ એ છે કે આગળ શું થશે. ભૂસ્ખલનમાં બધું જ તણાઈ ગયું છે. ધન અને સંપત્તિની સાથે સાથે અનેક લોકોએ આ આફતમાં પોતાનો સ્વજનો પણ ગુમાવ્યો છે. જે લોકો બચ્યા છે તેઓ અસહાય અને લાચાર છે. તેમને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. ઘણા લોકો એવા હોય છે, જે જીવતા રહ્યા પછી પણ પોતાને દુનિયાથી ખતમ માની લે છે.
આ વખતે થયેલું નુકસાન પાંચ વર્ષ પહેલા થયેલી હોનારત કરતા પણ વધારે
પાંચ વર્ષ પહેલા ઓગસ્ટ 2019માં કેરળના વાયનાડ જિલ્લાના એક ગામ પુથુમાલામાં ભૂસ્ખલનમાં 17 લોકોના મોત થયા હતા. ઘર, દુકાનો અને બીજું બધું જ નાશ પામ્યું હતું. આનાથી પુથુમાલા એક નિર્જન ખીણમાં ફેરવાઈ ગયું હતું. આ વર્ષે 30 જુલાઈના રોજ ચુરતમાલા,મુંડક્કઈ અને અટ્ટામાલાા આસસાપના ગામોમાં ફરીથી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ વખતે નુકસાન પહેલા કરતા ઘણું વધારે છે.
ભૂસ્ખલનથી વિસ્થાપિત લોકોનું પુનર્વસન એક મોટો પડકાર
2 ઓગસ્ટ સુધીમાં મૃત્યુઆંક 210 હતો અને 218 હજી પણ ગુમ છે. બચી ગયેલા લોકોને શોધવાની લગભગ શૂન્ય આશાઓ સાથે, મેપ્પાડી પંચાયત હેઠળના આ ગામો મૃતકોની ખીણમાં ફેરવાઈ ગયા છે. બચી ગયેલા લોકો હજી પણ મેપ્પાડી પંચાયતના રાહત શિબિરોમાં રહે છે. સરકારને ખ્યાલ છે કે ભૂસ્ખલનથી બેઘર બનેલા લોકોનું પુનર્વસન કરવું એ તેનો હવે પછીનો મોટો પડકાર હશે.
આ હોનારતના એક દિવસ બાદ લોકોને મુખ્યમંત્રી રાહત ફંડ (સીએમડીઆરએફ)માં ઉદારતાથી યોગદાન આપવાની અપીલ કરતા મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું હતું કે તે વિસ્તારન પુનનિર્માણ માટે વધુ સંસાધનોની જરૂર છે. ઘણાએ સહાયનું વચન આપ્યું છે, પરંતુ તે પૂરતું નથી. ઉદારતાથી યોગદાનની જરૂર છે.
કેરળના કેબિનેટની પેટા-સમિતિના સભ્ય અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી મોહમ્મદ રિયાસે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે બચી ગયેલા ઘણા લોકો માટે પુનર્વસન યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે,. અમારે તેમને માનસિક રીતે મજબૂત બનાવવા માટે કાઉન્સિલિંગ કરવી પડશે. તેમના બાળકોનું શિક્ષણ પણ વહેલી તકે ફરી શરૂ કરવું પડશે.
પુથુમાલા એ એક એવું ગામ છે જે 2019ના ભૂસ્ખલનમાં નાશ પામ્યું હતું અને હવે તે મોટા પ્રમાણમાં નિર્જન છે. તેની હાલત જોતા તાજેતરના ભૂસ્ખલનમાં નાશ પામેલા મેપ્પાડી પંચાયતના ત્રણ ગામો, ચુરલમાલા, અટ્ટામાલા અને મુંડક્કઈ પુનર્વસન માટે એક મોટો પડકાર લાગે છે.
2019ની દુર્ઘટના બાદ મોટાભાગના પરિવારો છોડીને જતા રહ્યા હતા
વર્ષ 2019ની દુર્ઘટના બાદ મોટાભાગના પરિવારો પુથુમાલા છોડીને જતા રહ્યા હતા અને ક્યારેય પાછા ફર્યા ન હતા. પંચાયતે ભૂસ્ખલનથી નાશ પામેલા વિસ્તારમાં કોઈ પણ મકાન બાંધવાની મંજૂરી આપી ન હતી.
પુથુમાલામાં ચાના સ્ટોલના એકમાત્ર માલિક અબુબકરનું કહેવું છે કે 2019ની હોનારત પહેલા અહીં લગભગ 90 પરિવારો રહેતા હતા. અત્યારે અહીં એક ડઝનથી પણ ઓછાં કુટુંબો છે. ઘણા લોકો પાસે ખૂબ જ સરસ મકાનો હતા, જે ભૂસ્ખલન પછી છોડી દેવામાં આવ્યા હતા. લોકો તેમની ખેતીની જમીનની દેખરેખ માટે પાછા આવ્યા ન હતા. એવી જમીનો પર પણ જ્યાં ભૂસ્ખલનને કારણે કાટમાળ પડ્યો નથી.
તાજેતરની દુર્ઘટનામાં બચી ગયેલા લોકો હાલમાં કામચલાઉ શિબિરોમાં જીવી રહ્યા છે. તેઓ સ્વીકારે છે કે તેઓએ બધું ફરીથી શરૂ કરવું પડશે. ભૂસ્ખલનનું ભયાનક દ્રશ્ય હજી પણ તેમના મગજમાં રહે છે. તેઓ હવે તેમના વિનાશકારી ગામોમાં પાછા ફરવા તૈયાર નથી. સેંકડો મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ પામ્યા છે.