World Coconut Day 2025 : વિશ્વ નારિયેળ દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બરે દુનિયાભરમાં ઉજવાય છે. World Coconut Day ઉજવવાનો હેતુ નારિયેળની ખેતીને પ્રોત્સાહન, ઉત્પાદન વધારવા અને સ્વાસ્થ્ય મહત્વ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. ભારતમાં નારિયેળ ને શ્રીફળ પણ કહેવાય છે, જેનો ધાર્મિક પૂજા, હવન વગેરેમાં વિશેષ મહત્વ છે. ઉપરાંત નારિયેળનું વિવિધ રીતે સેવન કરી શકાય છે તેમજ નારિયેળ માંથી ઉપયોગી ચીજવસ્તુઓ પણ બને છે. તો ચાલો વર્લ્ડ કોકોનટ ડે પર નારિયેળ વિશે જાણીયે.
World Coconut Day History : વિશ્વ નારિયેળ દિવસ ઇતિહાસ
દર વર્ષે 2 સપ્ટેમ્બર નારિયેળ ઉત્પાદક દેશોના આંતર સરકારી સંગઠન ઇન્ટરનેશનલ કોકોનટ કોમ્યુનિટિ (ICC)ની સ્થાપનાને ચિહ્નિત કરવા માટે વિશ્વ નારિયેળ દિવસ ઉજવાય છે. વર્ષ 2009માં 2 સપ્ટેમ્બરેના રોજ પહેલીવાર વિશ્વ નારિયેળ દિવસ ઉજવાયો હતો. આ વર્ષ 2025માં 15મો World Coconut Day ઉજવાયો છે. ICCની સ્થાપના 1969માં એશિયા પ્રશાંત ક્ષેત્ર માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક આયોગ (UN-ESCAP)ની આગેવાનીમાં થઇ હતી. હાલ ભારત સહિત દુનિયાભરના 20 દેશો આ સંગઠનના સભ્ય છે.
Coconut Production In India : ભારતમાં નારિયેળની ખેતી અને ઉત્પાદન
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો નારિયેળ ઉત્પાદક દેશ છે. ભારતમાં કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ નારિયેળ ઉત્પાદનમાં સૌથી મોખરે છે. નાળિયેર વિકાસ બોર્ડ (CDB)ના આંકડા મુજબ વર્ષ 2020-21માં ભારતમાં નાળિયેરની ખેતી હેઠળનો કુલ વિસ્તા 21.99 લાખ હેક્ટર હતો. જો કે ત્યાર પછીના આંકડા ઉપલબ્ધ નથી. વર્ષ 2023-24માં કર્ણાટકમાં 5008.53 કિલોટન નારિયેળનું ઉત્પાદન થયું હતું.
Coconut Production In Gujarat : ગુજરાતમાં નારિયેળની ખેતી
ભારતના સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કરતા રાજ્યોમાં ગુજરાત 7માં ક્રમે છે. ગુજરાતનો 16000 કિમી લાંબો દરિયા કિનારો નારિયેળની ખેતી માટે અનુકુળ છે. ગુજરાતમાં નારિયેળનો વાવેતર વિસ્તાર વર્ષ 2014-15માં 22,451 હેક્ટર હતો, જે વર્ષ 2024-25માં વધીને 28,197 હેક્ટર સુધી પહોંચ્યો છે. આમ છેલ્લા એક દાયકા દરમિયાન રાજ્યમાં નારિયેળનો વાવેતર વિસ્તાર 5,746 હેક્ટર વધ્યો છે. ગુજરાતમાં ગત વર્ષે નારિયેળનું ઉત્પાદન 2 કરોડ 60 લાખ મેટ્રિક ટન હતું, જેમા લીલા નાળિયેર (તરોફા)નું વાર્ષિક 26.09 કરોડ યુનિટથી વધુ ઉત્પાદન થયું હતું.
ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ
નારિયેળની ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના પણ લાગુ કરવામાં આવી છે. આ યોજના માટે વર્ષ 2025-26ના બજેટમાં 550 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને નારિયેળની ખેતી માટે પ્રતિ હેક્ટર ₹37,500 સુધીની સહાય આપવામાં આવે છે. ઉપરાંત, પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે પણ 5000 રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય મળે છે.
Interesting Facts Of Coconut : નારિયેળ વિશે રસપ્રદ વિગત
- દુનિયાના સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કરનાર દેશોમાં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ બાદ ભારત ત્રીજા ક્રમે છે.
- દુનિયાના નારિયેળ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 32.45 ટકા જેટલો છે.
- ભારતમાં દર વર્ષે સરેરાશ 130 લાખ મેટ્રિક ટન નારિયેળનું ઉત્પાદન થાય છે.
- ભારતના કેરળ રાજ્યમાં સૌથી વધુ નારિયેળીના ઝાડ છે, આથી કેરેળને કોકોનટ લેન્ડ કહેવાય છે.
- નારિયેળનું ઝાડ એક વર્ષમાં 70 થી 100 નારિયેલ આપે છે. નારિયેળનું વૃક્ષ 80 વર્ષ સુધી ફળ આપે છે.
- 20મી સદી સુધી નિકોબાર ટાપુ પર ચીજવસ્તુ ખરીદવા માટે આખા નારિયેળનો ઉપયોગ ચલણ તરીકે થતો હતો.
Coconut Tree Uses : નારિયેળ એક ઝાડ, અનેક ઉપયોગ
નારિયેળનું ઝાડ બહુ ખાસ હોય છે. નારિયેળના ઝાડના દરેક ભાગનો કોઇને કોઇને રીતે ઉપયોગ કરવામાં આવે છે. નારિયેળીના ઝાડનું ફળ એટલે લીલા અને સુંકા નારિયેળનો ભોજનમાં ઉપયોગ થાય છે. ઝાડના લાકડાં માંથી ફર્નિચર બને છે. નારિયેળના પાંદડા માંથી હાથ પંખા, ટોપલી, શેતરંજી જેવી ઘર વપરાશની ચીજો બને છે. નારિયેળની જટા માંથી દોરડા, જાળ, થેલા જેવી ચીજો બનાવવામાં આવે છે.
આ પણ વાંચો | નાળિયેર પાણી કેટલું પીવું સલામત? પીવાનો શ્રેષ્ઠ ટાઈમ શું? જાણો બધુજ
Coconut Water And Coconut Recipes : એક નારિયેળ માંથી અનેક વાનગી
નારિયેળ પોષક તત્વોથી ભરપૂર એક ફળ છે, જેનું સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. નારિયેળ પાણી પીવાથી શરીરને ત્વરિત ઊર્જા મળે છે. ઉપરાંત સુકા અને લીલા નારિયેળ માંથી ચટણી, ટોપરા પાક જેવી વિવિધ વાનગીઓ બને છે છે.