World Cup Opening Ceremony : વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. તેના એક દિવસ પહેલા જ 4 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાશે. જોકે સ્થળ વિશે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ આ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન થાય તેમ મનાય છે. આ વખતે વર્લ્ડ કપનો પ્રારંભ 5 ઓક્ટોબરથી થશે અને તેની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ વખતે 10 શહેરોમાં બધી મેચનું આયોજન કરવામાં આવશે.
એપનિંગ સેરેમનીમાં 10 ટીમોના કેપ્ટન ભાગ લેશે
ચોથી ઓક્ટોબરે યોજાનારા ઓપનિંગ સેરેમનીમાં ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના કેપ્ટન પણ સામેલ થાય તેવી શક્યતા છે. આઇસીસીએ કેપ્ટન્સ ડે ઈવેન્ટ મનાવવાની પણ યોજના બનાવી છે અને તેમાં તમામ કેપ્ટનો માટે એક નાનકડું સેશન પણ રાખવામાં આવશે. આ ઓપનિંગ સમારંભમાં આઈસીસીના એક્ઝિક્યુટીવ બોર્ડના સભ્યો પણ હાજરી આપશે. આ ઉપરાંત બીસીસીઆઇના સભ્યો પણ તેમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ વખતે વર્લ્ડ કપ ગત વખતની જેમ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે અને દરેક ટીમને 9 લીગ મેચ રમવાની છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : હવે 14 ઓક્ટોબરે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ, અન્ય 8 મુકાબલાની તારીખો પણ બદલાઇ
2011માં ઢાકામાં યોજાઇ હતી ઓપનિંગ સેરેમની
અગાઉ વર્ષ 2011માં ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે મળીને વર્લ્ડ કપનું આયોજન કર્યું હતુ. તે સમયે બાંગ્લાદેશના ઢાકામાં ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ટીમોના કેપ્ટનોને રિક્ષામાં બેસાડીને સ્ટેજ પર લાવવામાં આવ્યા હતા. આ વખતે પણ કેપ્ટનને સ્ટેજ પર લાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે જ્યારે ભારત એકલા હાથે આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. ભારતમાં 12 વર્ષ બાદ વન-ડે વર્લ્ડકપનું આયોજન થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની મેચો
ક્રિકબઝના જણાવ્યા પ્રમાણે 4 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાશે. ત્યારબાદ 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ યોજાશે. આ પછી 14 ઓક્ટોબરે આ મેદાન પર ભારત-પાકિસ્તાનની લીગ મેચ રમાશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 4 નવેમ્બરે આમને-સામને ટકરાશે. 10 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ પછી 19મી નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ પણ અહીં રમાશે.