/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/World-war.jpg)
વિશ્વ યુદ્ધ અને હિંસા
World War : વિશ્વ હાલમાં હિંસાના એક એવા સમયગાળાનું સાક્ષી બન્યું છે, જ્યાં ઘણા દેશો એકબીજા સાથે લડી રહ્યા છે. એક સમયે વિશ્વયુદ્ધ જોઈ ચુકેલી આ દુનિયા ફરી એકવાર અનેક યુદ્ધોની અણી પર ઉભી છે. બાંગ્લાદેશ સળગી રહ્યું છે, રશિયા અને યુક્રેન હજી પણ એકબીજા પર હુમલો કરી રહ્યા છે, ઇઝરાયલ-હમાસ યુદ્ધ અટક્યું નથી, ઇરાન ઇઝરાયલ પર હુમલો કરવાની રણનીતિ બનાવી રહ્યું છે અને બ્રિટનમાં નવી સરકારની રચના થયા બાદ જ હિંસા ફાટી નીકળી છે. આનો અર્થ એ છે કે, 10 દેશો હાલમાં અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં થઈ રહેલી હિંસા અન્ય ઘણા દેશોને અસર કરી રહી છે, સપ્લાય ચેઈન તૂટી ગઈ છે અને ફુગાવો તેની ટોચ પર પહોંચ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, એક સમયે પુતિન યુક્રેનને 72 કલાકમાં પાઠ ભણાવી દેવાની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, આટલા મહિનાઓ પછી પણ બંનેમાંથી કોઈ દેશ જીતની આરે નથી. એક તરફ યુક્રેનને અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ મળ્યા છે તો, બીજી તરફ રશિયાએ ઘણા વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પશ્ચિમ યુક્રેનમાં મોટાભાગના હુમલા રશિયાથી થઈ રહ્યા છે, ત્યાં બોમ્બ ધડાકા થતા જોવા મળે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ખુશી વ્યક્ત કરી છે કે, તેમને અમેરિકન ફાઈટર જેટ મળ્યા છે, પરંતુ તેઓ નાટો દેશો પાસેથી વધુ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. હાલમાં રશિયાએ કિવમાં અનેક ડ્રોન હુમલા પણ કર્યા છે. એલાર્મ સતત વાગી રહ્યા છે, મોટા હુમલા દર સેકન્ડે થઈ રહ્યા હોય તેવું લાગે છે.
ઇઝરાયેલ-હમાસ, પેલેસ્ટાઈન યુદ્ધ
ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ હમાસે ઘણા ઇઝરાયેલી લોકોની હત્યા કરી હતી અને ઘણાને બંદી બનાવી પણ લીધા હતા. એ હુમલા પછી વડા પ્રધાન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી અને હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી. હવે 10 મહિના વીતી ગયા છે, પરંતુ ન તો યુદ્ધ અટક્યું છે કે ન તો જમીન પરનો તણાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે. આ યુદ્ધમાં 40 હજારથી વધુ લોકોના મોત થયા છે, આંકડો દરરોજ વધી રહ્યો છે.
મોટી વાત એ છે કે, ઈઝરાયલના સૌથી મોટા હુમલા ગાઝામાં થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો અને હોસ્પિટલના દર્દીઓ, દરેકના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 33 લોકોના મોત થયા છે. મોટી વાત એ છે કે, પેલેસ્ટાઈન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે, થોડા દિવસ પહેલા જ સૌથી મોટો મિસાઈલ હુમલો થયો હતો.
લેબનોન-ઇઝરાયેલ તણાવ
લેબનોન મધ્ય પૂર્વમાં તણાવનું નવું કેન્દ્ર બની રહ્યું હોય તેવું લાગે છે. જ્યારથી હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ફુઆદ શુકરનું મોત થયું છે, ત્યારથી લેબનોનનો ઈઝરાયેલ સાથે સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. વાસ્તવમાં ઈઝરાયેલ પર જ હિઝબુલ્લાના વડાની હત્યાનો આરોપ છે. આ હુમલો એટલા માટે પણ થયો હતો કારણ કે હિઝબુલ્લાએ તેના એક હુમલામાં કેટલાક ઇઝરાયેલી બાળકોની હત્યા કરી હતી. ત્યારથી, બદલાની ભાવનાથી સળગતું ઇઝરાયેલ, હિઝબુલ્લાહને યોગ્ય જવાબ આપવા માંગે છે. આ કારણોસર ભારત, ઓસ્ટ્રેલિયા અને હવે અમેરિકા જેવા દેશો તેમના નાગરિકોને તરત જ લેબેનોન છોડવા માટે કહી રહ્યા છે.
ઈઝરાયેલ-ઈરાન તણાવ
હવે જો લેબનોનમાં હિઝબુલ્લાના વડા માર્યા ગયા છે તો ઈરાનમાં પણ હમાસના વડાને ખતમ કરી દેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે આ હુમલા માટે ઈઝરાયેલને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. આ કારણે હવે ઈરાન પણ ઈઝરાયેલ પાસેથી બદલો લેવા માંગે છે. તાજેતરમાં ઇઝરાયેલ પર તેની તરફથી ઘણા મિસાઇલ હુમલા પણ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તણાવ એટલો વધી ગયો છે કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખુલી શકે છે. ઈઝરાયલ પણ ઝુકવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે, તેણે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવાની જાહેરાત પણ કરી છે.
આ પણ વાંચો - Bangladesh Violence | બાંગ્લાદેશમાં અરાજકતા! સ્થિતિ વણસી જતાં કર્ફ્યુ, હિંસામાં 91 લોકોના મોત
બાંગ્લાદેશમાં ફરી પરિસ્થિતિ વણસી, ભારત પર હિંસાની શું અસર પડશે?
બાંગ્લાદેશમાં હિંસા
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવવો પડ્યો છે. ઈન્ટરનેટ બંધ છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. વાસ્તવમાં, બાંગ્લાદેશમાં, 1971 માં પાકિસ્તાનથી દેશની આઝાદી માટે લડનારા યુદ્ધ નાયકોના પરિવારને સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપવાની વાત છે. હવે ઢાકા અને અન્ય શહેરોના વિદ્યાર્થીઓ આ આરક્ષણનો વિરોધ કરી રહ્યા છે, તેઓ તેને ભેદભાવપૂર્ણ માને છે અને તેને ઘટાડીને 10 ટકા કરવાની માંગ કરી રહ્યા છે. આની પાછળ એક કહાની છે કે, બાંગ્લાદેશમાં યુવાનો સરકારી નોકરી માટે ખૂબ જ ઉત્સાહી છે, તે તેમના માટે કોઈ મોટી પોસ્ટથી ઓછી નથી. આવી સ્થિતિમાં જો તેમની તકો ઓછી થશે તો, તેઓ પોતાના ભવિષ્યની ચિંતા કરવા લાગશે. આ કારણે જ રસ્તાઓ પર હિંસા ફાટી નીકળી છે.
આ પણ વાંચો - Bangladesh Reservation Protest, બાંગ્લાદેશ અનામત વિરોધ : બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી, હિંસાથી ભારત ઉપર શું અસર થશે?
બ્રિટનમાં હિંસા
ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં છરીના હુમલામાં ત્રણ બાળકીઓના મૃત્યુ પછી બ્રિટનમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે. ઘણા વર્ષો બાદ બ્રિટન સૌથી ખરાબ રમખાણોનો સામનો કરી રહ્યું છે. બ્રિટનની શેરીઓમાં હિંસક ભીડ અને સળગતી દુકાનોની તસવીરો હવે આખી દુનિયામાં શેર કરવામાં આવી રહી છે. આ સમગ્ર હંગામાનું કારણ આરોપી સાથે જોડાયેલા એક સમાચાર છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે, સાઉથપોર્ટ હુમલાખોર ઇમિગ્રન્ટ મુસ્લિમ હતો, જે ગેરકાયદેસર રીતે બ્રિટન આવ્યો હતો. આ પછી ઇમિગ્રન્ટ્સ સામે વિરોધનું મોજું ફરી વળ્યું છે. અહેવાલો અનુસાર, બ્રિટનમાં હિંસા બાદ 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં હિંસક અથડામણો અને દક્ષિણપંથી જૂથો સાથે જોડાયેલ અશાંતિ વધી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us