જેલમાં બંધ યાસીન મલિકનો સનસનીખેજ દાવો, હાફિઝ સઇદને મળ્યા પછી પૂર્વ પીએમ મનમોહન સિંહે મારો આભાર માન્યો હતો

Yasin Malik : જેલમાં બંધ આતંકી યાસીન મલિકે મનમોહન સિંહ સાથે હાથ મિલાવતી તસવીર પર કહ્યું હતું કે જ્યારે હું વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યો ત્યારે તેમણે કોઈ પણ જાતના ખચકાટ વિના કહ્યું હતું કે હું તમને કાશ્મીરમાં અહિંસક આંદોલનનો જનક માનું છું

Written by Ashish Goyal
Updated : September 19, 2025 15:49 IST
જેલમાં બંધ યાસીન મલિકનો સનસનીખેજ દાવો, હાફિઝ સઇદને મળ્યા પછી પૂર્વ પીએમ મનમોહન સિંહે મારો આભાર માન્યો હતો
યાસિન મલિક પૂર્વ પીએમ મનમોહન સિંહ સાથે (@shashank_ssj)

Yasin Malik : જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો પ્રમુખ યાસીન મલિક હાલમાં ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેણે સનસનાટીભર્યો દાવો કર્યો છે. યાસીને કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 2006માં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સાથે મુલાકાત પછી વ્યક્તિગત રીતે આભાર માન્યો હતો.

એનડીટીવીના અહેવાલ અનુસાર આતંકવાદી યાસીન મલિકે 25 ઓગસ્ટ, 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કરેલા 85 પાનાના સોગંદનામામાં દાવો કર્યો છે કે 2006 માં આ બેઠક તેની સ્વતંત્ર પહેલ ન હતી, પરંતુ પાકિસ્તાન સાથેની ગુપ્ત શાંતિ પ્રક્રિયાના ભાગ રૂપે વરિષ્ઠ ભારતીય ગુપ્તચર અધિકારીઓની વિનંતી પર યોજવામાં આવી હતી.

ઇન્ટેલિજન્સ બ્યૂરોની કથિત ભૂમિકા

યાસીન મલિકના નિવેદન અનુસાર 2005માં કાશ્મીરમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પાકિસ્તાનની મુલાકાત પહેલા ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના તત્કાલીન સ્પેશિયલ ડાયરેક્ટર વી.કે જોશી તેમને દિલ્હીમાં મળ્યા હતા. જોશીએ મલિકને વિનંતી કરી હતી કે તેઓ તત્કાલીન વડા પ્રધાન સિંહના શાંતિ પ્રયાસોને ટેકો આપવા માટે માત્ર પાકિસ્તાની રાજકીય નેતૃત્વ સાથે જ નહીં પરંતુ સઈદ સહિતના આતંકવાદી વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરવા માટે આ તકનો ઉપયોગ કરે.

રિપોર્ટ અનુસાર મલિકે દાવો કર્યો હતો કે તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદી નેતાઓને પણ વાતચીતમાં સામેલ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથેની વાતચીત સાર્થક થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આ વિનંતીના પગલે તેઓ પાકિસ્તાનમાં એક સમારોહમાં સઈદ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના અન્ય નેતાઓને મળવા સંમત થયા હતા.

હાફિઝ સઈદ સાથે મુલાકાત

મલિકે પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે કેવી રીતે સઈદે જેહાદી જૂથોનું એક સંમેલનનું આયોજન કર્યું હતું. જ્યાં સઈદે ભાષણ આપ્યું હતું અને આતંકવાદીઓને શાંતિ અપનાવવાની વિનંતી કરી હતી. ઇસ્લામિ શિક્ષાનો હવાલો આપીને તેમણે કહ્યું કે તેઓ હિંસાને બદલે સમાધાન પર ભાર મૂકે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ તમને શાંતિ આપે છે તો તેની સાથે શાંતિ ખરીદી લો.

જોકે આ બેઠક વર્ષો પછી વિવાદનો વિષય બની હતી કારણ કે તેને મલિકની પાકિસ્તાની આતંકવાદી જૂથો સાથે નિકટતાના પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. મલિકે પોતાના સોગંદનામામાં આ ઘટનાક્રમને એકદમ વિશ્વાસઘાત ગણાવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવેલી પહેલ હતી, જેને પાછળથી રાજકીય હેતુઓ માટે તોડી-મરોડીને રજુ કરવામાં આવી હતી.

વડાપ્રધાનનો કથિત જવાબ

મલિકના નિવેદનનો સૌથી વિસ્ફોટક ભાગ ભારત પરત ફર્યા પછીની ઘટનાઓનું તેમનું વર્ણન છે. તેમણે દાવો કર્યો હતો કે આઈબી તરફથી ડીબ્રીફિંગ બાદ તેમને સીધા વડાપ્રધાનને માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું.

યાસીન મલિકે કહ્યું કે તેઓ તે સાંજે રાજધાનીમાં તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણનની હાજરીમાં મનમોહન સિંહને મળ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન મનમોહન સિંહે પાકિસ્તાનના સૌથી કટ્ટરપંથી તત્વો સાથે નિપટવા માટે તેમના દ્વારા બતાવેલા પ્રયત્નો, ધૈર્ય અને સમર્પણ માટે વ્યક્તિગત રીતે તેમનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો – ભારતીય રાજનીતિની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલનાર પીએમ નરેન્દ્ર મોદી

મલિકે કહ્યું કે જ્યારે હું પાકિસ્તાનથી નવી દિલ્હી પરત ફર્યો ત્યારે સ્પેશિયલ ડાયરેક્ટર આઈબી વીકે જોષીએ ડિબ્રીફિંગના ભાગરૂપે હોટલમાં મુલાકાત કરી હતી અને મને વિનંતી કરી કે હું તરત જ વડા પ્રધાનને જાણકારી આપું. તેમણે કહ્યું કે હું તે જ સાંજે વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યો હતો, જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન.કે. નારાયણ પણ હાજર હતા. મેં તેમને મારી મુલાકાતો વિશે માહિતી આપી અને શક્યતાઓ વિશે તેમને માહિતગાર કર્યા, જ્યાં તેમણે મારા પ્રયત્નો, સમય, ધૈર્ય અને સમર્પણ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

મનમોહન સિંહ સાથે હાથ મિલાવતી તસવીર પર મલિકે શું કહ્યું

જેલમાં બંધ આતંકી યાસીન મલિકે મનમોહન સિંહ સાથે હાથ મિલાવતી તસવીર પર કહ્યું હતું કે જ્યારે હું વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યો ત્યારે તેમણે કોઈ પણ જાતના ખચકાટ વિના કહ્યું હતું કે હું તમને કાશ્મીરમાં અહિંસક આંદોલનનો જનક માનું છું. મલિકે પોતાના સોગંદનામામાં અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી, પી ચિદમ્બરમ, આઈકે ગુજરાલ અને રાજેશ પાયલટ સહિત અનેક ટોચના રાજકીય નેતાઓ સાથે તેમની મુલાકાતોની વિગતો આપી છે.

યાસીન મલિકે કહ્યું કે 1990માં મારી ધરપકડ બાદ વી.પી. સિંહ, ચંદ્રશેખર, નરસિમ્હા રાવ, એચ.ડી. દેવગૌડા, ઇન્દ્રકુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહની આગેવાની હેઠળની સતત છ સરકારોએ મારો સક્રિયપણે સંપર્ક કર્યો હતો. મને કાશ્મીર મુદ્દા પર બોલવા માટે માત્ર સ્થાનિક મંચ જ પૂરો પાડવામાં આવ્યો ન હતો, પરંતુ સત્તામાં રહેલી આ સરકારોએ મને વારંવાર સક્રિયપણે સામેલ કર્યો હતો અને મને આંતરરાષ્ટ્રીય મંચો પર બોલવા માટે સમજાવ્યો હતો.

જો મલિકના દાવાઓ સાચા છે તો તેઓ પાકિસ્તાન સાથેની ભારતની શાંતિ મંત્રણાની ગુપ્ત પદ્ધતિઓ અને 2006 માં તેના જેવા વિશ્વાસઘાતી અને શંકાસ્પદ અલગતાવાદી નેતાઓ અને આતંકવાદીઓ પર રાજ્યની સંસ્થાઓના વિશ્વાસની હદ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતના એક વર્તમાન વડા પ્રધાને વિશ્વના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક સાથેની મુલાકાત બાદ આભાર વ્યક્ત કર્યો હોવાનો તેમનો દાવો રાજકીય તોફાન સર્જી શકે છે.

મલિક પર જાન્યુઆરી 1990માં શ્રીનગરમાં ભારતીય વાયુસેનાના ચાર અધિકારીઓની હત્યા કરવાનો આરોપ છે. તેના પર પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરવાનો પણ આરોપ છે. નિર્વાસિત કાશ્મીરી પંડિત સમુદાય વર્ષોથી મલિકને 1990 પછી પોતાના સમુદાયના નિર્દય વંશીય સફાઇ અને તેમના વતનમાંથી હિજરત માટે દોષી ઠેરવી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ