Anshuman Gaekwad Passes Away: ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરની બીમારીથી પીડિત હતા. બીસીસીઆઈના ચેરમેન જય શાહે ટ્વિટ કરી અંશુમાન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે વર્ષ 1975 થી 1987 સુધી ભારત તરફથી ક્રિકેટ મેચ રમી હતી.
અંશુમાન ગાયકવાડ નિધન : ક્રિકેટ કરિયર
અંશુમાન ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના જબરદસ્ત બેટ્સમેન હતા. તેમણે વર્ષ 1975 થી 1987 દરમિયાન ભારત તરફથી 40 ટેસ્ટ મેચ અને 15 વનડે મેચ રમી હતી. તેઓ 2000 આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ઉપવિજેતા પણ હતા. ઉપરાંત તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પણ રહી ચૂક્યા હતા. અંશુમાન ગાયકવાડની પાછલા મહિને ભારત પરત આવવાની પહેલા લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી.
અંશુમાન ગાયકવાડ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રદર્શન
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અંશુમાન ગાયકવાડના પર્ફોર્મન્સની વાત કરીયે તો તેમણે 40 ટેસ્ટમાં 70 બેટિંગમાં 30.07 ના સરેરાશથી 1985 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 10 અર્ધ શતક અને 2 સેન્ચ્યુરી ફટકારી છે. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં તેમના નામે બે વિકેટ પણ છે. ઉપરાંત તેમણે 15 વનડે મેચમાં 14 બેટિંગમાં 269 રન ફટકાર્યા છે.
બીસીસીઆઈ એ 1 કરોડની મદદ કરી
તાજેતરમાં જ બીસીસીઆઈ એ અંશુમાન ગાયકવાડને બ્લડ કેન્સરની સારવાર માટે 1 કરોડ રૂપિયાની મદદ પણ કરી હતી. ઉપરાંત 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના સભ્યોએ પણ તેમની મદદ કરી હતી. ગાયકવાડે 22 વર્ષના ક્રિકેટ કરિયરમાં 205 ફર્સ્ટ સીરીઝ મેચ પણ રમી હતી. ત્યારબાદ તેમને ટીમ ઈન્ડિયાના કોચ બનાવામાં આવ્યા હતા. તેઓ પહેલીવાર 1997 થી 1999 સુધી ટીમ ઈન્ડિયાના કોચ હતા, ત્યારબાદ 2000માં ફરી કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વની શાનદાર ક્ષણ 1998માં શારજહામાં અને ફિરોજશાહ કોટલા મેદાનમાં એક ટેસ્ટ મેચ રહી હતી, જ્યારે અનિલ કુંબલે એ 1999માં પાકિસ્તાન સામે એક મેચમાં તમામ 10 વિકેટ ઝપડી હતી.





