Asia Cup 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્ષે વધુ ત્રણ મેચ રમાઇ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) સપ્ટેમ્બરમાં એશિયા કપ યોજવાનું વિચારી રહી છે, આ વખતે આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાવાની છે. તેમાં 19 મેચો રમાશે અને તે સપ્ટેમ્બરના બીજા અને ચોથા સપ્તાહની વચ્ચે યોજાય તેવી શક્યતા છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ આ ટૂર્નામેન્ટ મૂળરૂપે ભારતને ફાળવવામાં આવી હતી પરંતુ ભારત-પાકિસ્તાનના સંબંધોને ધ્યાનમાં રાખીને એસીસીએ નિર્ણય લીધો હતો કે તે તટસ્થ દેશમાં યોજવામાં આવશે. સ્થળને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે એસીસીના અધિકારીઓ શ્રીલંકા અથવા યુએઈમાં ટૂર્નામેન્ટ યોજવાની યોજના બનાવી રહ્યા છે. બીસીસીઆઈ યજમાન તરીકે યથાવત્ રહેશે.
એસીસીનો મોટો નિર્ણય
ક્રિકબઝના જણાવ્યા અનુસાર તાજેતરમાં એસીસી દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયોમાંનો એક નિર્ણય એ હતો કે જ્યારે બીસીસીઆઈ અથવા પીસીબીની યજમાનીની વાત આવે છે ત્યારે ટૂર્નામેન્ટ તટસ્થ દેશમાં યોજાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજાના દેશોમાં પ્રવાસ ન કરે તે અંગેના વિવાદથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવા વિવાદને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલમાં થઈ રહ્યું છે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી : ગ્રુપ- બી માં આવું છે સેમિ ફાઇનલનું ગણિત
ભારતીય ટીમને હાઈબ્રિડ મોડલમાં દુબઈમાં રમવાની મંજૂરી
ભારતીય ટીમને હાઈબ્રિડ મોડલમાં દુબઈમાં રમવાની મંજૂરી આપવામાં આવી છે. આ કારણે પીસીબીએ આવતા વર્ષે યોજાનારા ટી 20 વર્લ્ડ કપ માટે પણ આવી જ વ્યવસ્થાની માંગ કરી છે, જેની યજમાની બીસીસીઆઇ અને શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) કરશે. સપ્ટેમ્બરની સિઝન એક પડકાર છે પરંતુ ટૂર્નામેન્ટ ટી 20 ફોર્મેટમાં હશે. આવી સ્થિતિમાં સાંજના ઠંડા તાપમાનમાં મેચોનું આયોજન કરી શકાય છે.
આ 8 ટીમો ભાગ લેશે
આ ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત આઠ ટીમો શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગ ભાગ લેશે. નેપાળ આ વખતે આ ટૂર્નામેન્ટમાં નહીં હોય. 2023માં ગત એશિયા કપમાં ભાગ લેનાર નેપાળ આ એડિશન માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યું છે.