BCCI Secretary Jay Shah ICC chairman : ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહનું કદ ક્રિકેટ પ્રશાસનમાં વધી ગયું છે. બીસીસીઆઇ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ બાદ જય શાહ હવે આઇસીસીમાં પહોંચી ગયા છે. મંગળવારે આઇસીસીના નવા ચેરમેન તરીકે જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા. જય શાહ આઈસીસીના સૌથી યુવા ચેરમેન છે. તે માત્ર 35 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળશે.
જય શાહ એકમાત્ર ઉમેદવાર હતા
આઇસીસીના વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેએ ત્રીજી ટર્મ માટે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. તેઓ 2020થી આ પદ પર હતા. જય શાહ એકમાત્ર ઉમેદવાર હતા. આવી સ્થિતિમાં નોમિનેશનનો સમય પૂરો થતાં જ જય શાહની જીત નક્કી થઈ ગઈ હતી. જય શાહ 1 ડિસેમ્બર, 2024થી આઇસીસીના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે.
જય શાહ આઈસીસીના પાંચમા ભારતીય ચીફ બનશે
જય શાહ આઇસીસીના ચેરમેન કે ચીફ બનનારા પાંચમા ભારતીય બનશે. આ પહેલા ભારતના જગમોહન દાલમિયા, શરદ પવાર, એન.શ્રીનિવાસન અને શશાંક મનોહરે આ પદ સંભાળ્યું છે. જગમોહન દાલમિયા 1997થી 2000 સુધી, શરદ પવાર 2000થી 2012 સુધી, એન શ્રીનિવાસન 2014થી 2015 સુધી અને શશાંક મનોહર 2015થી 2020 સુધી આઇસીસીના ચેરમેન હતા.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ : શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ શક્ય છે? જાણો શું છે સમીકરણ
ICCનું સત્તાવાર નિવેદન
આઇસીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ના નવા સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જય શાહ ઓક્ટોબર 2019થી બીસીસીઆઈના સેક્રેટરી અને 2021થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન છે. તેઓ 1 ડિસેમ્બરથી આ પદનો કાર્યભાર સંભાળશે. પૂર્વ અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ ચૂંટણીમાંથી પીછેહઠ કરી ત્યારથી તેઓ એકમાત્ર ઉમેદવાર હતા.
જય શાહે કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બનવા બદલ આભારી છું. હું ક્રિકેટ માટે આઈસીસીની ટીમ અને તેના સભ્યો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. હાલ તો ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટને પ્રોત્સાહન આપવું જરુરી છે. હું રમતમાં નવી ટેકનોલોજી લાવવાનો પ્રયત્ન કરીશ, તેની સાથે સાથે વર્લ્ડ કપ જેવી ઈવેન્ટ્સને પણ વૈશ્વિક બજારોમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. ઓલિમ્પિક 2028માં ક્રિકેટની ભાગીદારી એક મોટી સિદ્ધિ છે. અમે ઓલિમ્પિક દ્વારા તેને ગ્લોબલ ઓળખ અપાવીશું અને વધુ દેશો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.