BCCI Meeting : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) મુંબઈમાં ભારતીય ટીમની સમીક્ષાને લઇને મીટિંગ કરી છે. બીસીસીઆઈએ આ મીટિંગમાં નિર્ણય કર્યો કે હવે ખેલાડીઓ માટે યો-યો ટેસ્ટ (YO-YO Test) પછી ડેક્સા (Dexa) પણ પસંદગી પ્રક્રિયાનો ભાગ રહેશે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ વર્લ્ડ કપ 2023 માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરી લીધા છે. આ 20 ખેલાડીઓમાં રોટેશન પ્રોસેસ અંતર્ગત વર્લ્ડ કપમાં તક મળશે.
જે ખેલાડીઓનો આ લિસ્ટમાં સમાવેશ કરાયો છે તે ખેલાડી ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરશે તો પસંદગીકાર તેને વર્લ્ડકપ માટે ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લઇ શકે છે. આ દરમિયાન આઈપીએલ 2023 દરમિયાન ખેલાડીઓના વર્કલોડ પર એનસીએ નજર બનાવી રાખશે. એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપમાં થયેલા પરાજય વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
BCCIએ યો-યો ટેસ્ટની સાથે Dexa ટેસ્ટનો પણ કર્યો સમાવેશ
બીસીસીઆઈએ યો-યો ટેસ્ટની સાથે ડેક્સા ટેસ્ટને પણ પસંદગીનો આધાર માન્યો છે. ડેક્સા ટેસ્ટ તે ખેલાડીઓને આપવો પડશે જે ઇજામાંથી વાપસી કરી રહ્યા હોય કે પછી બ્રેક પછી ભારતીય ટીમનો ભાગ બન્યા હોય. નવા ખેલાડીઓને ઘેરલું ક્રિકેટ રમવી પડશે તો જ તેની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવશે.
આ પણ વાંચો – એક વર્ષમાં મ્યૂઝિકલ ચેયરની રમત બની ભારતીય કેપ્ટનની ખુરશી, હાર્દિક પંડ્યા પછી હવે આ પ્લેયરને મળી શકે છે કમાન
IPL 2023 દરમિયાન એનસીએ રાખશે ખેલાડીઓ પર નજર
આ બેઠકમાં કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. બીસીસીઆઈએ ઉભરતા ખેલાડીઓને ઘરેલું ક્રિકેટ રમવાની સલાહ આપી છે. ભારતીય ટીમમાં પસંદગી માટે ઘરેલું ક્રિકેટને જ મુખ્ય પરિબળ માનવામાં આવશે. યો-યો ટેસ્ટ પછી હવે ખેલાડીઓને ડેક્સા ટેસ્ટ પણ આપવો પડશે. આ ટેસ્ટ ખેલાડીઓના સેન્ટ્રલ પૂલમાં એક રોડમેપ અંતર્ગત લાગુ કરવામાં આવશે. ભારતીય ટીમ ફ્યૂચર ટૂર પ્રોગ્રામ અને આઈસીસી 2023ના વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખતા એનસીએ ખેલાડીઓ પર નજર રાખશે.
આ મીટિંગમાં બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે એનસીએ પ્રમુખ વીવીએસ લક્ષ્મણ પણ સામેલ રહ્યા હતા. આ સિવાય પસંદગી સમિતિના ચેરમેન ચેતન શર્મા પણ ઉપસ્થિત હતા.