IND vs AUS 4th Test : ભારતીય ટીમનો સોમવારે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો છે. એક સમયે એવું લાગતું હતું કે ભારત આ મેચને આસાનીથી ડ્રો કરી દેશે પણ તેમ થયું ન હતું. છેલ્લા સેશનમાં ઓસ્ટ્રેલિયન ટીમની વાપસીથી મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી અને ભારતનો 184 રનથી પરાજય થયો હતો. અહીં ટીમ ઇન્ડિયાની હારના 5 કારણો વિશે જણાવી રહ્યા છીએ.
વિરાટ કોહલી-રોહિત શર્મા ફ્લોપ
ભારતના લેજન્ડરી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ઈનિંગમાં ફ્લોપ સાબિત થયા હતા. પ્રથમ ઇનિંગ્સમાં કોહલીએ 86 બોલમાં 36 રન બનાવ્યા હતા. રોહિત શર્મા માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્માએ બીજી ઇનિંગમાં માત્ર 9 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી બીજી ઇનિંગાં પાંચ રન બનાવી આઉટ થયો હતો. આવી સ્થિતિમાં લોઅર ઓર્ડરના બેટ્સમેનો પર દબાણ વધી ગયું હતું.
ઋષભ પંતે વિકેટ ફેંકી દીધી
ભારતના યુવા બેટ્સમેન ઋષભ પંતે બંને ઈનિંગમાં ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. પ્રથમ ઈનિંગમાં તે આક્રમક રીતે રમવા માગતો હતો અને તેણે 28 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં પંતે યશસ્વી જયસ્વાલ સાથે શાનદાર ભાગીદારી કરી હતી. પોતાની ભાગીદારીના આધાર પર ભારત મેચને ડ્રો કરાવવાના પ્રયત્નમાં હતું. જોકે 104 બોલમાં 30 રન ફટકાર્યા પછી ફરી એક વખત બીજી ઇનિંગમાં તે ખરાબ શોટ ફટકારીને આઉટ થયો હતો. અહીંથી જ ઓસ્ટ્રેલિયાને મેચમાં પરત ફરવાની તક મળી હતી.
જસપ્રીત બુમરાહને કોઈનો સાથ ના મળ્યો
બોલરોમાં જસપ્રીત બુમરાહ સિવાય બીજું કોઈ પ્રભાવિત કરી શક્યું નહીં. બુમરાહે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ પણ બોલર ઓસ્ટ્રેલિયા પર દબાણ ઊભું કર્યું હોય તેવું લાગતું ન હતું. તેને બીજા છેડેથી કોઈ મદદ મળી રહી ન હતી. પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ આનો ફાયદો ઉઠાવતા 474 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, સૌથી ઓછા બોલમાં ઝડપી 200 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર
યશસ્વી જયસ્વાલને વિવાદાસ્પદ આઉટ આપવો
જ્યાં સુધી યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર હતો ત્યાં સુધી ભારતની ડ્રો ની આશા જીવંત હતી. જોકે તેને વિવાદાસ્પદ રીતે આઉટ આપ્યા પછી ભારત મેચમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. જયસ્વાલને કેચ આઉટ આપવામાં આવ્યો હતો. કારણ કે એવું લાગતું હતું કે બોલ તેના બેટ અથવા ગ્લોવ્ઝને અથડાયો હોય. જોકે સ્નિકોમાં કંઇ જોવા મળ્યું ન હતું. તેને આઉટ આપવા પર વિવાદ થયો છે. જયસ્વાલના આઉટ થયા બાદ બીજા કોઇ પ્લેયર ટકી શક્યા ન હતા.
8 બેટ્સમેન 80 ઓવર ન રમી શક્યા
ભારતે આ મેચમાં બેટિંગ મજબૂત કરવા માટે 8 બેટ્સમેનોને તક આપી હતી. ડ્રો માટે 8 પ્લેયર 80 ઓવર રમી શક્યા ન હતા. ટીમ બીજી ઇનિંગમાં પૂરી ઓવર રમી શકી ન હતી. આ નિર્ણયથી ભારતને કોઈ ફાયદો થયો નથી. આનાથી ભારતને બોલરની ખોટ અનુભવાઈ અને ઓસ્ટ્રેલિયા વધુ બન બનાવવામાં સફળ રહ્યું હતું