Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીને ઘૂંટણમાં ઇજા થઇ હોવાના અહેવાલ છે. ઘૂંટણની સમસ્યાના કારણે વિરાટને ઇંગ્લેન્ડ સામેની વન-ડેમાંથી બહાર થવું પડ્યું હતું અને લેટેસ્ટ અપડેટ મુજબ કોહલીની ઇજા ભારત માટે મોટી ચિંતાનો વિષય છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતને 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીતવાની આશા છે.
કોહલીના ઘૂંટણમાં ઈજા
પાકિસ્તાનની વેબસાઇટ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીને નેટ સેશનમાં ફાસ્ટ બોલરનો સામનો કરતી વખતે ઘૂંટણમાં ઈજા થઈ હતી. ઈજા બાદ તેણે બેટીંગ બંધ કરી દીધી હતી અને તે નેટ્સ પર પાછો ફર્યો નથી. જોકે વિરાટ ફાઈનલ રમવા માટે ફિટ છે. વિરાટ આ ટૂર્નામેન્ટમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે અને તેણે પાકિસ્તાન સામે અણનમ સદી ફટકારીને ભારતને જીત અપાવી હતી.
વિરાટ કોહલીએ 4 મેચમાં 217 રન બનાવ્યા છે
આ ઉપરાંત કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઈનલમાં 84 રનની મહત્વની ઈનિંગ રમીને ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. ફાઇનલમાં વિરાટની ભૂમિકા નિર્ણાયક રહેશે અને અત્યાર સુધીમાં તેણે આ ટૂર્નામેન્ટમાં ભારત માટે રમાયેલી 4 મેચમાં 217 રન બનાવ્યા છે. હાલની સ્થિતિ એ છે કે, ભારતીય કેમ્પમાં ફિટનેસની કોઈ ચિંતા નથી અને તમામ ખેલાડીઓ સિલેક્શન માટે ઉપલબ્ધ છે. હવે કઈ પ્લેઈંગ ઈલેવન સાથે ભારત ફાઈનલમાં પ્રવેશે છે, તે જોવાનું રહેશે.
આ પણ વાંચો – આઈસીસી ફાઇનલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કેવું છે પ્રદર્શન, જાણો
ન્યૂઝીલેન્ડની ટીમની વાત કરીએ તો ટીમનો શ્રેષ્ઠ ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે અને તે ફાઈનલમાં રમશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પોતાની ઈજા અંગે ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટીડે કહ્યું કે તેને દર્દ છે, પરંતુ અમને આશા છે કે તે સ્વસ્થ થઈ જશે. ભારતીય સમય અનુસાર રવિવારે બપોરે 2.30 વાગ્યાથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.