Jawahar Lal Nehru Stadium : દિલ્હીનું ઐતિહાસિક જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ હવે ઇતિહાસ બની જશે. આ સ્ટેડિયમમાં છેલ્લા 15 વર્ષમાં 961 કરોડ રુપિયાનો ખર્ચે કરવામાં આવ્યો છે અને તે 1982ની એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનું પણ સાક્ષી બન્યું છે.
ઇતિહાસ અને મહત્વ
જવાહરલાલ નહેરુ (JLN) સ્ટેડિયમ સૌ પ્રથમ 1982 એશિયન ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું. 2010માં કોમનવેલ્થ ગેમ્સ પહેલા તેમાં મોટા સુધારા અને અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. જેમાં આધુનિક સુવિધાઓ સાથે ખેલાડીઓ અને દર્શકો માટે વધુ સારી માળખાકીય સુવિધાઓ સામેલ હતી. તાજેતરની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પહેલા તેના અપગ્રેડેશન માટે બીજા 50 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે 10,000 નવી બેઠકો અને બે નવા મોન્ડો ટ્રેક લગાવવામાં આવ્યા હતા.
ભવિષ્યની યોજના
રમત મંત્રાલયના એક સૂત્રએ સોમવાર 10 નવેમ્બરના રોજ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુ (જેએલએન) સ્ટેડિયમને તોડી પાડીને એક સ્પોર્ટ્સ સિટી બનાવવાનો માર્ગ મોકળો થઈ જશે. જેમાં તમામ મુખ્ય રમતગમતના સ્થળો અને એથ્લેટ્સ માટે રહેણાંક સુવિધાઓ હશે. જોકે આ વિચાર હજી પણ વિચાર-વિમર્શના તબક્કે છે.
સૂત્રએ જણાવ્યું હતું કે સરકાર હજુ પણ વિશ્વભરના વિવિધ મોડેલોનો અભ્યાસ કરી રહી છે જ્યાં આવા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, કારણ કે તે પરામર્શના તબક્કે છે. અમે દોહા જેવા સ્પોર્ટ્સ સિટીનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. એકવાર આ બધું થઈ ગયા પછી, અમે આયોજનના તબક્કે આગળ વધીશું.
કતરની રાજધાની દોહામાં 618 એકરમાં ફેલાયેલા ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમને મુખ્યત્વે 2006ની એશિયન ગેમ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેણે 2022 ફિફા વર્લ્ડ કપની યજમાની પણ કરી છે.
જૂની સુવિધાઓનું શું થશે?
હાલમાં મુખ્ય ફૂટબોલ સ્ટેડિયમ અને એથ્લેટિક્સ ટ્રેક ઉપરાંત, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તીરંદાજી એકેડેમી, બેડમિન્ટન કોર્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કચેરીઓ, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીના કાર્યાલયો વગેરે પણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમનું શું થશે તો સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ કચેરીઓ શિફ્ટ કરવામાં આવશે. એ જ રીતે મુખ્ય સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે. એથ્લીટ્સ જ્યારે અહીં ભાગ લેવા આવે ત્યારે તેઓ સ્ટેડિયમની નજીક રહી શકે તે માટે રહેણાંક સંકુલ બનાવવામાં આવશે.
રમત મંત્રાલય સ્ટેડિયમ સંકુલના 102 એકર વિસ્તારનો ઉપયોગ કરવા માંગે છે કારણ કે તેનો મોટો ભાગ હાલમાં બિનઉપયોગી છે. આ સ્ટેડિયમ મૂળ 1982 એશિયન ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું અને તે 60000 પ્રેક્ષકોની ક્ષમતા સાથે દેશના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોમાંનું એક છે. તેણે 2010 કોમનવેલ્થ ગેમ્સ અને 2017 અંડર -17 ફિફા વર્લ્ડ કપની યજમાની પણ કરી હતી.
આ પણ વાંચો – રાજકોટમાં ક્રિકેટપ્રેમીઓને આવશે મોજ, અભિષેક શર્મા, તિલક વર્મા સહિત સ્ટાર ક્રિકેટરો જમાવશે રંગ
તાજેતરમાં જ આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ પહેલા મુખ્ય સ્ટેડિયમ અને પ્રેક્ટિસ એરિયામાં બે નવા મોન્ડો ટ્રેક નાખવામાં આવ્યા હતા. જ્યારે નીચલી પ્રેક્ષક ગેલેરીમાં 10,000 નવી બેઠકો ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેડિયમને નવી લિફ્ટ અને સુલભ શૌચાલયો સાથે વ્હીલચેર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે.
કોચ ભરતી અભિયાન
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વર્ષ 2017 પછીની સૌથી મોટી કોચ ભરતી અભિયાનની જાહેરાત કરી છે. 25 રમતોમાં કુલ 320 કોચની ભરતી કરવામાં આવશે, જેમાંથી 50% જગ્યાઓ મહિલા કોચ માટે અનામત રહેશે. હોકી, કુસ્તી, બોક્સિંગ અને એથ્લેટિક્સ જેવી મેજર રમતો ઉપરાંત કયાકિંગ અને કેનોઈંગ જેવી રમતોમાં પણ આવતા વર્ષે યોજાનારી એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.





