Srilanka Cricket Board Suspended : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું સભ્યપદ તત્કાળ અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. શુક્રવારે આઇસીસી બોર્ડની બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઇસીસીના જણાવ્યા પ્રમાણે શ્રીલંકા ક્રિકેટ એક સભ્યના રૂપમાં પોતાની ફરજો નિભાવતું ન હતું અને તે નિયમોના ભંગ બદલ દોષિત સાબિત થયું છે. આ નિર્ણય બાદ શ્રીલંકાની ક્રિકેટ ટીમ આઇસીસીની કોઇ પણ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારની ઘણી દખલગીરી હતી અને આ કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડનું સસ્પેન્શન વન-ડે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાની ટીમની આખરી લીગ મેચના એક દિવસ બાદ જ કરવામાં આવ્યું હતું. વન-ડે વર્લ્ડકપમાં આ ટીમનું પ્રદર્શન ખૂબ જ કંગાળ રહ્યું હતું અને આ ટીમ 9માંથી માત્ર 2 મેચ જીત મેળવી શકી હતી, 7 મેચમાં પરાજય થયો હતો.
આઇસીસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બોર્ડની શુક્રવારે બેઠક મળી હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકેની તેની જવાબદારીઓનું ગંભીરતાથી ઉલ્લંઘન કરી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે શ્રીલંકાના ક્રિકેટમાં સરકારની સંપૂર્ણ દખલગીરી છે જે નિયમો પ્રમાણે નથી.
આ પણ વાંચો – મોહમ્મદ શમી પર ફિદા થઇ બોલિવૂડ અભિનેત્રી, લગ્ન માટે આપ્યો પ્રસ્તાવ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સમસ્યાઓની શરૂઆત વનડે વર્લ્ડ કપ 2023માં થઈ હતી જ્યારે આ ટીમ ભારત સામે 55 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને 302 રને પરાજય થયો હતો. ભારત સામે મળેલા કારમાં પરાજય બાદ તરત જ આ દેશના રમત મંત્રીએ ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું હતું. શ્રીલંકાની સંસદે ક્રિકેટ બોર્ડને બરખાસ્ત કરવાની માંગ કરી હતી, જેને સત્તા પક્ષ અને વિરોધ પક્ષોએ ટેકો આપ્યો હતો. આ ઘટના 7 નવેમ્બરના રોજ બની હતી અને હવે 10 નવેમ્બરે આઈસીસી દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઇસીસીના બોર્ડ દ્વારા સસ્પેન્શનની શરતો યોગ્ય સમયે નક્કી કરવામાં આવશે. આઇસીસીના બોર્ડની બેઠક 21મી નવેમ્બરે યોજાવાની છે, જે પછી આગળના પગલાં લેવામાં આવશે. શ્રીલંકા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારા આઇસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરવાનું છે.





